જામનગર: જામનગરમાં શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળામાં છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરવામાં આવી રહી છે. ખાસ કરીને હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે ગોળની માંગ મોટા પ્રમાણમાં હોય છે જોકે અહીં ઓર્ગેનિક ગોળ પણ બનાવવામાં આવી રહ્યો છે. શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળાના માલિક જણાવી રહ્યા છે કે તેમની પાસે 150 જેટલી ગાયો છે અને આ ગાયોના છાણનું ખાતર બનાવવામાં આવે છે. ગૌ મુત્રનો ઉપયોગ શેરડીના વાવેતરમાં કરવામાં આવ્યો છે.
ડાયાબિટીસ દર્દીઓ માટે આશીર્વાદ: શેરડીના વાવેતરથી લઈ શેરડીમાંથી બનાવવામાં આવતા ગોળની પ્રક્રિયા સુધીમાં ક્યાંય પણ રાસાયણિક ખાતર કે અન્ય કોઈ દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ગાય આધારિત આ ગોળ બનાવવામાં આવે છે જે ગોળની માંગ ખૂબ જ જોવા મળી રહી છે. ગોળની સાથે સાથે ફાર્મ હાઉસ પર ખાંડ પણ બનાવવામાં આવી રહી છે જે ખાંડ સંપૂર્ણ ઓર્ગેનિક છે. ખાસ કરીને ડાયાબિટીસ તેમજ અન્ય કોઈ રોગના દર્દીઓ માટે આ ખાંડ આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
કેવી રીતે બને છે ગોળ?: શેરડીનો પાક વાડીએ લાવ્યા બાદ ગોળ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે. શેરડીમાંથી રસ બનાવ્યા બાદ તેને ગરમ કરવામાં આવે છે. ખાસ વાત તો એ છે કે, ગોળ બનાવામાં ઇંધણ તરીકે જે શેરડીના છોડા નીકળે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે. એટલા માટે ખેડૂતને ગોળ પકવવા માટે કોઈ ઇંધણ ખરીદવાની પણ જરૂર રહેતી નથી.
ગોળ ખરીદવા માટે લોકોની લાઈન: કમલેશભાઈ જોબનપુત્રા છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. ખાસ કરીને આજકાલ મોટાભાગની વસ્તુઓમાં ભેળ છેડ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર કરે છે. શ્રી જય ભવાની ફાર્મ એન્ડ ગૌશાળા દ્વારા ઓર્ગેનિક ગોળનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે અને લોકો કમલેશભાઈ જોબનપુત્રાની વાડીએ આ ગોળ ખરીદવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
આ પણ વાંચો વિદેશી તો ઠીક નવસારીમાં સ્વદેશી પંખીઓ પણ ઘટ્યા, કકરાડ ખાલીખમ
ગાય આધારિત ખેતી કરવી ખૂબ અઘરી: રાસાયણિક ખાતરો વાપરવાથી જમીનને પણ નુકસાન થઈ રહ્યું છે અને રાસાયણિક ખાતરથી જે પાક લેવામાં આવી રહ્યો છે તે નુકસાનકારક છે. સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરતા કમલેશભાઈ જોબનપુત્રાએ જણાવ્યું કે ગાય આધારિત ખેતી કરવી ખૂબ અઘરી છે કારણ કે આ ધંધામાં વધુ પ્રોફિટ નથી. હાલ શેરડીના પાક માંથી સીધા ઓર્ગેનિક ગોળ બનાવવામાં આવે છે.