જામનગર: પાણી આવે તે પહેલાં પાળ બાંધવી આ કહેવતને જામનગર પાસે આવેલ રસુલનગર ગામના ગ્રામજનો સાચા અર્થમાં સાર્થક કરી રહ્યાં છે. ગુજરાતના દરિયા કિનારે હાલ બિપરજોય વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે અને વાવાઝોડું ધીરે ધીરે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સાવચેતી અને સલામતી માટે રાજ્ય સરકારની સાથે સાથે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ અને સાબદુ જોવા મળી રહ્યું છે. આશરે 1500 થી 1700 ની વસતી ધરાવતું રસુલનગર પણ એક બની આવનારી આફતને પહોંચી વળવા સજ્જ બન્યું છે.
વાવાઝોડા સામે લડવા તૈયાર: આ ગામ નીચાણવાળા વિસ્તારમાં આવેલ છે અને અહીં મોટાભાગે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમના પરિવારજનો સાથે વસવાટ કરે છે. આ ગામના લોકો દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાવચેતી અને સલામતિના ભાગરૂપે ગામની મધ્યમાં ચોતરફ દોરડા બાંધવામાં આવે છે. 1998 માં આવેલ વાવાઝોડાના અનુભવને ધ્યાને લઈ વાવાઝોડા વખતે રસુલનગરના ગ્રામજનો દ્વારા સ્વયંભુ કરાતી આગોતરી તૈયારી
ચોકમાં દોરડા બાંધે છે ગ્રામજનો: વાવાઝોડા સમયે આ દોરડાની મદદથી તેને પકડી આસપાસના સુરક્ષિત સ્થાનો સુધી પહોંચી સુરક્ષિત આશ્રય મેળવી શકાય. આ ગ્રામજનોએ 1998 માં આવેલ વાવાઝોડાને જોયું છે અને ત્યારે પણ આ દોરડા બાંધી ગામના પુરુષો, મહિલાઓ કે બાળકો સુરક્ષિત સ્થાને પહોંચ્યા હોવાનું અને ત્યારે પણ જાનમાલનું ઓછું નુકશાન થયું હતું તેમ ગ્રામલોકો દ્વારા જાણવા મળ્યું હતું.
વિપત પડે નવ વલખીએ....: વાવાઝોડા સમયે તે દોરડાની સલામતીએ સુરક્ષિત સ્થાને પહોંચી જવાય અને કોઈ જાનહાની ન થાય તેમજ સર્વે ગ્રામજનો સલામત રહી શકે. રાજ્ય સરકાર, સ્થાનિક વહીવટી તંત્રની સાથે સાથે ગ્રામજનો પણ એકબીજાના સાથ સહકાર દ્વારા આવનારી આ કુદરતી આપદા સામે લડવા સાથે મળી સજ્જ બની અનેરાં ઉદાહરણ સાથે આપણને ઘણું શીખવી જાય છે. ગ્રામજનો જણાવી રહ્યા છે કે 1998 માં વાવાઝોડા વખતે અહીં ભારે નુક્શાન થયું હતું અનેક લોકોના મોત નિપજ્યા હતા ત્યારે આ વખતે ગામમાં દોરડા બાંધ્યા છે.