ગાંધીનગરઃ GMC દ્વારા ધીમી ગતિએ અને નબળી કામગીરી સાથે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ સાથે કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલાની આગેવાની સોમવારે કોંગ્રેસના કોર્પોરેટર્સે અધિકારીઓ સાથે 2 કલાકના સમય માટે બેઠક કરીને સત્તાપક્ષની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.
બેઠકમાં કોંગ્રેસે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને નીચે પ્રમાણે ખુલાસા માંગ્યા
- પ્રજાના પ્રશ્નોની ચર્ચા માટે વિપક્ષની વારંવારની માંગણી કરવા છતા સામાન્ય સભા કેમ બોલાવવામાં આવતી નથી?
- મનપામાં ચાલતા ભ્રષ્ટાચારોના આક્ષેપ અંગે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવ્યા?
- સફાઈનું કામ કરતી એન્જસી નિષ્ફળ જવા છતા તેને ઊંચા ભાવે ટેન્ડર વગર કામગીરી કેમ સોંપવામાં આવી?
- કોર્પોરેટર્સની ગ્રાન્ટમાંથી તેમને સુચવેલા કામો કેમ થતા નથી?
શહેરના આંતરિક રોડ-રસ્તા માટે આર એન્ડ બી વિભાગને અધધ રૂપિયા ફાળવવામાં આવે છે, તેમ છતાં રસ્તાઓ કેમ ખરાબ સ્થિતિમાં છે. પ્રજાની પારવાર મુશ્કેલી માટે જવાબદાર કોણ છે? બીજ તરફ વેરા આકરણી માટે પ્રાઈવેટ એજન્સીને લાખો રૂપિયા આપીને સર્વે કરવામાં આવ્યો છે. એજન્સી દ્વારા બમણા બિલો, મિલકતના પ્રકારમાં ફેરફાર, એક પ્રોપર્ટીના બે બીલો જેવી અસંખ્ય ભૂલોનો ભોગ નાગરિકો બની રહ્યાં છે. ત્યારે એજન્સી પાસે કેમ ખુલાસો માંગવામાં આવતો નથી. સમગ્ર મુદ્દે સંતોષકારક ખુલાસા કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ કોર્પોરેટર્સ દ્વારા કચેરીમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
![Gandhinagar Municipal Corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-20-gmcbethak-photo-7205120_28092020201423_2809f_1601304263_876.jpg)
કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે, શહેરમાં સ્ટ્રોમ વોટરની કામગીરી ખૂબ જ નબળી છે. એજન્સી દ્વારા મનમાની મૂજબ કામગીરી થાય છે ત્યારે અધિકારીઓ દ્વારા કામગીરીની દેખરેખ કે ચકાસણી થાય છે કે નહીં? સ્ટ્રોમ વોટરની કામગીરી સમયે આડેધડ ખોદકામ કરીને યોગ્ય પૂરાણ કરવામાં નથી આવતું. જેને પગલે મોટા ખાડા પડી જાય છે. ત્યારે કોઈ અકસ્માત કે જાનહાનિ માટે જવાબદાર કોણ રહેશે તેવો સવાલ કોંગ્રેસે કર્યો છે.
![Gandhinagar Municipal Corporation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-20-gmcbethak-photo-7205120_28092020201423_2809f_1601304263_759.jpg)