આ વિધેયકમાં પાણીની વિતરણ વ્યવસ્થાને સુરક્ષિત કરવાના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. કોઈપણ વ્યક્તિ દ્વારા પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાન કરવામાં આવે કે, અનઅધિકૃત રીતે પાણી મેળવશે તે વ્યકિત કાયદા મુજબ સજાને પાત્ર રહેશે. આ સજાની જોગવાઇથી લોકો આવી અનઅધિકૃત પ્રવૃતિઓ કરતા અટકશે. આ એક્ટ અન્વયે વૉટર ડિસ્ટ્રીબ્યુશન ઓથોરિટી દ્વારા પાણીના અનઅધિકૃત જોડાણ, ઉપયોગ, દંડ, થયેલા નુકસાનની ભરપાઈ અને પાણીના સ્ત્રોતને આરક્ષિત કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
સરકારનું કહેવું છે કે, આ વિધેયક દ્વારા ઘર વપરાશમાં થતાં પાણીના બગાડ પર રોક લાગશે અને ખરા અર્થમાં પીવાનું પાણી સમાન વિતરણ વડે લોકો સુધી શુદ્ધ અને નિયમિત રીતે પહોંચશે. જે રાજ્યના આર્થિક તેમજ સામાજિક વિકાસમાં ખૂબ જ મદદરૂપ થશે. આ વિધેયકમાં સ્થાનિક સત્તા મંડળ, મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, ગ્રામ પંચાયતો, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રચર લિમિટેડ તેમજ રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કરાયેલ એજન્સી દ્વારા તેમના સંલગ્ન અધિકારક્ષેત્રમાં આવતી જાહેર પાણી વિતરણ વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ વિધેયકમાં પાણી વપરાશ જવાબદારી પૂર્વક થાય તે માટે સ્ત્રોત ઉપર મીટરિંગ, સ્ત્રોત અને વિતરણ વ્યવસ્થાલ માટે ઑડિટિંગની પણ જોગવાઈ કરાઈ છે. આ દરેક પ્રકારની જોગવાઇથી જાહેર પાણી વિતરણ વ્યવસ્થા દ્વારા વિતરણ કરવામાં આવેલા પાણીનો ચોક્કસ હિસાબ મળશે જેથી વિતરણની કાર્યક્ષમતામાં પણ સુધારો થશે. વિધેયકની કલમ 10માં પાણીની વિતરણ વ્યવસ્થાને નુકસાનદાયક પ્રવૃતિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને જોગવાઇઓનો ભંગ કરનારાને જેલની સજા અથવા દંડ અથવા બંનેની સજા થઇ શકે છે.
વિધેયકમાં જોગવાઈઓ આ પ્રમાણેઃ
- ગંભીર પ્રકારના ગુના જેવા કે, પાણી વિતરણ વ્યવસ્થાને નુકસાન, પાણીને નાશ કરવું, પાણીના પ્રવાહને ખોરવવો, આ બધા માટે 3 માસથી 2 વર્ષ સુધીની જેલની સજા અથવા 20 હજાર થી 1 લાખ રૂપિયાનો દંડ અથવા બંને સજાની જોગવાઇ કરવામાં આવી છે.
- અનઅધિકૃત રીતે પાણીનું જોડાણ મેળવવું, મંજુર થયેલા જથ્થા કરતા વધુ પાણી લેવું, વ્યવસ્થામાં ચેડા કરીને પાણી મેળવવા માટે 3 હજારથી 5 હજાર સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.
- ગુનાઓમાં મદદગારી માટે જે તે ગુનાઓની સજા જેટલી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
- આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા અધિકારી કે, કર્મચારીઓને જે તે ગુનાની સજાની બે ગણી સજાની જોગવાઇ કરવામાં આવી છે.
આ વિધેયકથી ઓથોરીટી દ્વારા અધિકૃત કરેલ અધિકારી કોઇપણ સ્થળે અનઅધિકૃત રીતે પાણીનો ઉપાડ થતો હોય તેવું જણાય ત્યારે તમામ જગ્યાઓ પર તપાસ કરી શકશે. તદ્દઉપરાંત આ વિધેયકમાં માલ-સમાનની જપ્તી કરી શકે તેવી છે. આ નુકસાનની રક્મનું મુલ્યાંકન કરી ગુનો કરનારા પાસેથી તે રકમ વસુલ કરવા માટે હુકુમ કરવાની તથા આવી કાર્યવાહીના સંદર્ભમાં અપિલ કરવાની પણ જોગવાઇ છે.