ગાંધીનગર: DGP શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં કોરોના વાઈરસના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન અને તેને સંલગ્ન કાર્યવાહી અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, મુક્તિ અપાયેલા વાહનોનોના દુરુપયોગ પર ચાંપતી નજર રાખવામાં આવશે. તેમજ નાગરિકોને ખોટી અવરજવર ન કરવા અપીલ કરી છે.
DGP શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, લૉકડાઉન દરમિયાન વ્યાજબી કારણ વગર લોકોનું ભેગા થવું, પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ કરવું, બિનજરૂરી રીતે બહાર ફરવા જેવા બનાવો પકડવામાં આવી રહ્યા છે. લૉકડાઉનમાં અગાઉ વાહન પકડાયું હશે તેવા લોકો ફરી વખત બહાર આવશે અને કારણ વગર ફરશે તો તેનું વાહન પુનઃ જપ્ત કરાશે. એ જ રીતે ટુ વ્હીલર પર એકથી વધુ લોકો અને ફોર વ્હીલરમાં બેથી વધુ લોકો મુસાફરી કરતા પકડાશે તો પણ તેની સામે કાર્યવાહી કરાશે.
શિવાનંદ ઝાએ લોકોને ચેતવતા જણાવ્યું કે, લૉકડાઉનમાંથી જેને મુક્તિ આપવામાં આવી છે, તેવા વાહનો અથવા વ્યક્તિઓ મુક્તિનો દુરૂપયોગ ન કરે, તે માટે પણ પોલીસ સતત નજર રાખી રહી છે. મુક્તિ અંગેના જે પાસ તંત્ર દ્વારા અપાયા છે, તેનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગુરૂવારે આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે એક કન્ટેનરમાં 105 શ્રમિકોને બેસાડીને રાજકોટથી અન્ય રાજ્યમાં લઈ જવાતા હતા. જેમાં મેડિકલ સપ્લાય કરવાના પાસની આડમાં માણસોની હેરાફેરી થતી હોવાનું જણાતા આ કન્ટેનરના માલિક સામે ગુનો નોંધી વાહન જપ્ત કરવામાં આવ્યું છે.
રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગુરૂવારે પાલનપુર હાઈવે પરથી અંદાજે રૂપિયા 51 લાખનો દારૂ ભરેલું કન્ટેનર પકડવામાં આવ્યું છે. આ વાહન પર કોરોના સંક્રમણ અંગેની ઈમરજન્સી સેવાઓ માટેનું ખોટું સ્ટીકર તથા રાજસ્થાન પોલીસનો એક પત્રને આધાર બનાવીને ઈમરજન્સી સેવાની આડમાં દારૂની ગેરકાયદેસરની હેરાફેરી પકડી પાડવામાં આવી છે. તેની સામે પણ ગુનો નોંધાયો છે.
ધાર્મિક સ્થાનો પર એકત્ર ન થવા અગાઉ અપીલ કરાઈ છે. તેમ છતાંય ગુરૂવારે અમદાવાદના સાબરમતી ખાતે એક મંદિરમાં આરતી માટે લોકો ભેગા થતા પૂજારી સહિત 8 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે પણ બે વ્યક્તિઓ કે જે ખોટા પાસ બનાવીને આંતર જિલ્લા મુસાફરી કરાવવાનો પ્રયાસ કરતા હતા, તેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.