ગાંધીનગર શહેરના છેવાડે આવેલા સંત સરોવરમાં પાણીની આવક વધી રહી છે. હાલમાં સરોવરના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે .જેને લઇને પાછળના ભાગમાં પાણી વધારે પ્રમાણમાં ભરાય રહ્યા છે. ત્યારે ગાંધીનગર શહેર પાસેથી પસાર થતી સાબરમતી નદી વર્ષો સુધી સુકી ભટ્ટ જોવા મળતી હતી. સંત સરોવર નિર્માણ બાદ નદીમાં ચોમાસા બાદ ત્રણ મહિના સુધી પાણી જોવા મળે છે. પહેલા તો તે પણ જોવા મળતા ન હતા, ત્યારે ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીર આવ્યા છે. જેને લઇને ગાંધીનગર પાસે બનાવાયેલું સંત સરોવર હાલમાં ભરાયેલું જોવા મળી રહ્યુ છે.
સંત સરોવરમાં હાલ 80 ટકા પાણીનો જથ્થો 54.90 મીટર જોવા મળી રહ્યો છે. સંત સરોવરની મર્યાદા 55.50 મિટર છે, ત્યારે તેને છલકાવવા માત્ર 1 મીટર પાણીનો જથ્થો બાકી છે .ત્યાર બાદ સંત સરોવરના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.
ગાંધીનગર અધિક જિલ્લા કલેકટર દ્વારા સાવચેતીના ભાગરૂપે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે, પાણીની આવક ગમે ત્યારે વધી શકે છે. જેને લઇને સંત સરોવરના દરવાજા પણ ખોલવા પડે છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસી જવા અને સંત સરોવર અને તેની આસપાસ નદીના વિસ્તારમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સંત સરોવરને બિલકુલ અડીને સરિતા ઉદ્યાન આવેલું છે. જેમાં અનેક કપલ હરવા ફરવા જતા હોય છે. મોટા ભાગના લોકો સેલ્ફી પડાવવા માટે જીવના જોખમે પણ નદીની અંદર પ્રવેશ કરતા હોય છે. અગાઉ સંત સરોવરમાં નાહવા જતા લોકોના મૃત્યું પણ થયા છે. આ પ્રકારના બનાવો ન બને તેને લઈને તકેદારીના ભાગરૂપે નદી અને સંત સરોવર પાસે પ્રવેશવા પર પ્રતિબંધ લગાવ્યો છે.