ગાંધીનગરઃ મગોડી બસ સ્ટેન્ડ પાસે આવેલા મોટા વાસમાં રહેતા પ્રહલાદજી ઠાકોર અને કાળાજી ઠાકોર પોતાનું 50 વર્ષ જૂનું મકાન તોડીને નવું બનાવી રહ્યાં હતાં. તે દરમિયાન મકાનનો પાયો ખોદતા સમયે જૈન સમાજના ભગવાનની મૂર્તિઓ મળી આવી હતી. ત્રણ ફૂટ જેટલો પાયો ખોદતાં 25 જેટલી મૂર્તિઓ મળી આવતાં કામને અટકાવી દીધું હતું. મૂર્તિઓ મળ્યાં બાદ તે સ્થળે ખોદકામ કરતાં નાના કૂવા જેવું મળી આવ્યું હતું. જેમાં અલગઅલગ મૂર્તિઓને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હાલતમાં જોવા મળી હતી.
બીજી તરફ આ મૂર્તિઓ જૈન સમાજના ભગવાનની હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. મૂર્તિઓની સાથે એક સિહાસન પણ મળી આવ્યું છે. જેના ઉપર પૌરાણિક કાળની વાતવાળી કોતરણી જોવા મળી રહી છે. ખોદકામ દરમિયાન આ મૂર્તિઓને સુવ્યવસ્થિત રીતે બહાર કાઢવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિક પુરાતત્વ વિભાગને જાણ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છેે કે, ગામના સરપંચ કેસાજી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મગોડી વર્ષો પહેલા ગોરધન રાજા સમયમાં મગુના તરીકે ઓળખાતું હતું. આ શહેરના સમય કાળમાં નાગરિકો જાહોજલાલી ભોગવતાં હતાં. ભૂતકાળમાં રાજાઓ એકબીજા શહેરો ઉપર ચડાઈ કરતાં હતાં. જેને લઈને કિંમતી ચીજવસ્તુઓ જમીનમાં સંતાડી રાખવામાં આવતી હતી. તેને લઈને મગુના શહેર વખતે સાચવી રાખવા આ મૂર્તિઓ જમીનમાં દાટી દીધી હોય તે પ્રકારનું હાલ તો લાગી રહ્યું છે.