ડાંગઃ જિલ્લાના આહવામાં પટેલ ફળિયામાં રહેતા પ્રભાકરભાઇના ઘરમાં શુક્રવારે અચાનક આગ લાગી જતા મોટુ નુકસાન થયું હતું, સદનસીબે આગની જાણ બિરસા બ્રિગેટ સંગઠન અને BTSને થતા આ યુવાનોએ તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લાવી હતી. આ આગમાં શ્રમજીવીનાં ઘરનાં છાપરાનો ભાગ અને વાસમાંથી બનાવેલા આડશ દિવાલ બળી ગયા હતાં.
જો કે સ્થાનિક યુવાનો દ્વારા તુરંત આગને કાબુમાં લાવતા મોટી જાનહાની ટળી હતી, આ સાથે જ ઘરનાં કોઇ સભ્યને નુકસાન થયુ ન હતું, પરંતુ ઘરનો અમુક ભાગ બળી જતા ઘર માલિકને મોટુ નુકશાન થયુ હતું. બિરસા બ્રિગેટ સંગઠનનાં સભ્ય મહેશભાઇ આહીર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આગની જાણ થતાં તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવામાં આવી હતી. તેમજ અનાયાસે લાગેલી આગને કારણે ઘર માલિકને નુકશાન થયુ હતું.
બિરસા બ્રિગેટનાં મહેશભાઇ અને રાજેશભાઇ તરફથી આ શ્રમજીવીને 20 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરતા આ શ્રમજીવી પરિવારે તેમનો આભાર વ્યક્ત કરી રાહત અનુભવી હતી.