દાહોદઃ જિલ્લાના બાવકા ગામે આવેલા પ્રાચીન શિવ પંચાયત મંદિરે કોરોના વાઇરસના સંક્રમણને રોકવા માટે દિવસ-રાત તનતોડ મહેનત કરી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સને સન્માન આપવા માટે 71માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
![71st Forest Festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-bavaka-av-7202725_09082020205549_0908f_1596986749_747.jpg)
આ ઉજવણીમાં ઉપસ્થિત રાજ્ય પ્રધાન બચુભાઇ ખાબડે જણાવ્યું કે, દાહોદ જિલ્લાનો જંગલ વિસ્તાર આદિવાસીઓ માટેના પોષણનું માધ્યમ અને આશરા સમાન છે. આપણે સૌ પ્રકૃત્તિને પૂજતા આવ્યા છીએ. રાજ્ય સરકાર પણ પ્રકૃ્તિનું જતન કરી પર્યાવરણનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે. બચુભાઈ ખાબડે ઉમેર્યું કે, જળ, જમીન અને જંગલનું જતન લોકોના સહયોગ વિના અધુરૂ છે. જે વિસ્તારમાં વધુ વૃક્ષો હોય ત્યાં વધુ વરસાદ પડે છે, એ વાત આપણી નજર સમક્ષ છે. કચ્છ કાઠિયાવાડ વિસ્તારમાં વધુ વૃક્ષોનું વાવેતર થતાં ત્યાં વરસાદ સારો થઇ રહ્યો છે. આપણે પણ વધુ પ્રમાણમાં વૃક્ષો વાવી ધરતીને હરિયાળી બનાવવી પડશે. પરિવારમાં એક વ્યક્તિ દીઠ એક વૃક્ષ વાવવાનું તેમણે આહ્વાન પણ કર્યું હતું.
![71st Forest Festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dhd-02-bavaka-av-7202725_09082020205549_0908f_1596986749_611.jpg)
સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, આપણા માટે આનંદની વાત છે કે, દાહોદ જિલ્લામાં જંગલ બહારમાં વૃક્ષોનું પ્રમાણવધીને 14 ટકા થયું છે. જિલ્લામાં આવેલા 698 પૈકી 443 ગામો વન્ય વિસ્તારોમાં આવેલા છે. વન મહોત્સવની ગૌરવવંતી પરંપરા શરૂ કરનારા ગુજરાતના પનોતા પુત્ર ક.મા.મુન્શીનું સ્મરણ કરતા સાંસદ જશવંતસિંહ ભાભોરે ઉમેર્યું કે, ગુજરાતમાં વર્ષ 2004થી તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વન મહોત્સવને આગવી રીતે ઉજવવાની ઉજળી રીતીનો પ્રારંભ કર્યો છે. લોકોની આસ્થા સાથે પ્રકૃત્તિને સાંકળી વનોનું નિર્માણ કરવામાં આવે છે. જેનાથી પર્યાવરણનું સંવર્ધન થઇ રહ્યું છે.
બાવકા ખાતે નિર્માણ પામેલા વનને કોરોના વોરિયર્સ વન એવા નામકરણને મહાનુભાવોએ યથાર્થ ઠેરવ્યું હતું. કોરોનાના સંકટ સામે લડી રહેલા આરોગ્યકર્મી, પોલીસકર્મી, સફાઇકર્મી, જિલ્લા વહીવટી તંત્રના કર્મયોગીઓ, મીડિયા, સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને યથોચિત સન્માન આપવામાં આવ્યું છે. કલેક્ટર વિજય ખરાડીના કલેક્ટર તરીકેના કાર્યકાળમાં રાબડાળ ખાતેના આરોગ્ય વન બાદ બાવકાનું કોરોના વોરિયર્સ વન બીજું પ્રાકૃતિક નજરાણું દાહોદના લોકોને મળ્યું છે. જેમાં વન વિભાગની કામગીરી પણ કાબીલે તારીફ છે. ૭૧માં વન મહોત્સવ અંતર્ગત દાહોદ જિલ્લામાં 50 લાખથી વધુ રોપા વાવવાનું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. બાવકા ખાતે 3500 રોપા વાવી તેનું જતન કરવામાં આવશે. આજના કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, રૂપિયા 32.79 સહાય તેમજ સાગના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આંગણવાડી કાર્યકરોને સરગવાના રોપા અપાયા હતા. આ ઉપરાંત, વન વિભાગ દ્વારા કોરોના વાઇરસ સામે ઉકાળાનું કામ કરતી ઔષધિના રોપા વિતરણ વાહન અને બે મોબાઇલ પશુ દવાખાનાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ તકે ધારાસભ્ય વજુભાઇ પણદા અને ચંદ્રિકાબેન બારિયા, વન વિભાગના વરિષ્ઠ અધિકારી રામ રતન નાલા, કલેક્ટર વિજય ખરાડી, નાયબ વન સંરક્ષક આર. એમ. પરમાર સહિત તાલુકા અને ગ્રામ પંચાયતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.