ભાવનગરઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેમાં ભાવનગર જિલ્લાના અમુક ગામોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હતું. ભાલ પંથકમાં આવેલા ખેતાખાટલી ગામમાં વરસાદ રોકાયાને 15 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યું નથી. ગામલોકોના જણાવ્યા અનુંસાર ભાલ પંથકમાંથી પસાર થતી ઘેલો અને કાળુભાર નદીના વહેણના આડે અગરિયાઓએ પાળા કરી નાખતા આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. આ વસરાદનું પાણી હજૂ સુધી ઓસર્યું નથી. જે કારણે ખેતાખાટલી ગામલોકોને મંગળવારે નનામી પણ ઘુંટણ સમાણા પાણીમાંથી કાઢવાની ફરજ પડી હતી.
ભાવનગર જિલ્લામાં ભાલ પંથકમાં આવેલા ગામડાઓની હાલત નવા થયેલા અગરના કારણે કફોડી બની છે. નદીના વહેણ રોકાઈ જવાના કારણે ભાલ પંથકના મોટાભાગના ગામડાઓમાં તેમજ ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે.
ભાવનગરના ભાલ પંથકમાં આવેલા ખેતાખાટલી ગામમાં 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયા બાદ તેમની અંતિમ યાત્રા ઘુંટણ સમાણા પાણીમાંથી કાઢવાની ફરજ પડી હતી. મૃતક મહિલાની નનામીને પરિવારજનો પાણીમાં ચાલીને અગ્નિ સંસ્કાર કરવા માટે પહોંચ્યા હતા. અગ્નિસંસ્કાર સ્થળ પર પણ પાણી ભરાયેલું હોવાને કારણે ગામ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગામલોકોના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા અગરિયાને જમીન ફાળવવામાં આવી છે. આ જમીન પર મોટા પાળા ખડકી દેવામાં આવ્યા છે. જેના કારણે નદી અને પાણીના કુદરતી વહેણ રોકાઈ ગયા છે. જે કારણે ગામ અને સીમ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.