શહેરમાંથી નીકળતા દૂષિત અને પ્રદૂષિત પાણીને ચોખ્ખું કરવા માટે ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભાવનગર શહેરના છેવાડે કુંભારવાડા રોડ પર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. જેમાં કોન્ટ્રાક્ટ પર સફાઇ કામદારો કામ કરે છે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પર કામ કરતા ત્રણ સફાઈ કામદારો પૈકી એક કામદાર પ્લાન્ટનો વાલ બંધ કરવા માટે પાણીના ટાંકામાં ગયો હતો. જ્યાં દૂષિત પાણીના કારણે સર્જાયેલા ગેસમાં તે ગુંગળાઈ જતા બેભાન હાલતે દૂષિત પાણીના ટાંકામાં પડ્યો હતો. આ બનાવની જાણ થતાં તેની સાથે કામ કરતા અન્ય બે કર્મચારીઓ પણ તેને બચાવવા માટે ટાંકામાં પડ્યા હતા.
આ બનાવની જાણ ફરજ પરના કોન્ટ્રાક્ટરને થતા તેને તાત્કાલિક અસરથી ભાવનગર ફાયર બ્રિગેડ કાફલાને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અંદાજિત 45 મિનિટની ભારે જહેમત બાદ દૂષિત પાણીના ટાંકામાં પડેલા ત્રણેય પરપ્રાંતિય સફાઇ કામદારોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણેય મૃતકોના નામ ધર્મપાલ રાજપાલ તથા રામસાગર હોવાનું અને મૃતકો ઉત્તરપ્રદેશના અયોધ્યાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.