સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ૫ લાખ કયુસેક પાણી છોડાતા ભરૂચ નજીક નર્મદા નદી ફરી એકવાર ૨૪ ફૂટની ભયજનક સપાટી વટાવશે ત્યારે નદી કાંઠાના ગામ લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. સરદાર સરોવર નર્મદા ડેમ તેની ૧૩૫.૬૫ મીટરની ઐતિહાસિક સપાટીએ પહોચ્યો છે, ત્યારે ડેમના ૨૧ દરવાજા ખોલી ૫ લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.
જેના કારણે નર્મદા નદીના જળ સ્તરમાં પણ વધારો થશે. ભરૂચના ગોલ્ડન બ્રીજ નજીક નર્મદા નદી તેની ૨૪ ફૂટની ભયજનક સપાટી ગુરુવારે રાતે વટાવે તેવી શક્યતા છે. જેને લઈ તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે અને નદી કિનારે આવેલ ૨૦ જેટલા ગામના લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.