ભરૂચઃ હાંસોટમાં આવેલા વેરાઈ માતાના મંદિરના પાછળના ભાગેથી ચાલીને જઈ રહેલા એક વ્યક્તિની ગળું દબાવી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામ્યો છે.
આ બનાવ અંગેની મળતી વિગતો અનુસાર હાંસોટના રામનગરમાં રહેતો કલ્પેશ મિસ્ત્રી અને તેનો ભાઈ યોગેશ મિસ્ત્રી સોમવાર રાત્રીના સમયે હાંસોટમાં આવેલા વેરાઈ માતાજીના મંદિરના પાછળના ભાગેથી ચાલીને જઈ રહ્યા હતા. જે દરમિયાન માકુવાલા સ્કૂલ નજીક રહેતા સલીમ વાડીવાલાએ આ રસ્તેથી કેમ પસાર થાવ છો, એમ કહી બંને સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ સલીમ ઉશ્કેરાઈ જતા તેને યોગેશનું ગળું દબાવી માર માર્યો હતો. મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા યોગેશને પ્રથમ સારવાર અર્થે સરકારી દવાખાને અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ હત્યાની જાણ થતા હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે સલીમ વાડીવાલા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.