- દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે
- કંપનીના અધિકારીએ ટ્વીટ કરી જાણકારી આપી હતી
- જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે
ભરૂચઃ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાની કોવીશિલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિન હાલમાં વેક્સિન અપાઈ રહી છે. દેશમાં દરેક નાગરિકને વેક્સિનની જરૂર છે. ત્યારે ઉત્પાદન વધારવા પર ભાર અપાઈ રહ્યો છે. હવે ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિનનું ઉત્પાદન અંકલેશ્વરમાં થવા જઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ ભારત બાયોટેકે કો વેક્સિન નું ઉત્પાદન વધાર્યું
અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે
ભારત બાયોટેકના કોફાઉન્ડર અને JMD સુચિત્રા એલ્લાએ ટ્વીટ દ્વારા જાણકારી આપી છે કે, અંકલેશ્વર સ્થિત કંપનીની સબસિડરી Chiron Behring Vaccinesમાં ઉત્પાદન શરૂ કરશે.

હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે
સૂત્રો અનુસાર જૂનના પહેલા સપ્તાહથી ફોર્મ્યુલેશન અને પેકિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. જયારે ટૂંક સમયમાં કંપનીની બે લાઈનમાં પ્રોડક્શનની પ્રક્રિયા પણ શરૂ થઇ જશે. હાલમાં હૈદરાબાદ અને બેંગલુરુમાં મોટાપાયે વેક્સિનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. દેશમાં વેક્સિનની મોટી માગના કારણે હવે અંકલેશ્વરમાં પણ વેક્સિનનું ઉત્પાદન શરુ કરશે.
200 મિલિયન ડોઝનું થઈ શકે છે ઉત્પાદન
અંકલેશ્વર સ્થિત સબસિડરી Chiron Behring Vaccinesની વાર્ષિક 200 મિલિયન ડોઝ ઉત્પાદનની ક્ષમતા છે. યુનિટ તેના રેબિસની વેક્સિનના ઉત્પાદનને અટકાવી કોરોના વેક્સિનનું ઉત્પાદન શરૂ કરશે.
આ પણ વાંચોઃ ભારત બાયોટેકે ભારતની પ્રથમ કોવિડ-19 વેક્સીન વિકસાવીઃ ભારત બાયોટેક ચેરમેન
વેક્સિનનું ઉત્પાદન મહત્વની અને ગર્વની બાબત માનવામાં આવી રહ્યું છે
ગુજરાતમાં શરૂ થનારા આ ઉત્પાદનના કારણે ગુજરાતીઓને વિશેષ લાભ મળશે કે નહિ તે ઉપર હજુ કોઈ સ્પષ્ટતા થઇ નથી. જો કે, ગુજરાતની ધરા પર વૈશ્વિક મહામારીને નાથવા માટે મહત્વનું શસ્ત્ર મનાતી વેક્સિનનું ઉત્પાદન મહત્વની અને ગર્વની બાબત માનવામાં આવી રહ્યું છે.