ભરૂચઃ પરપ્રાંતિયોની વતન વાપસીના કારણે અંકલેશ્વર પાનોલીનાં ઉદ્યોગો ઠપ્પ થઇ ગયા છે. શ્રમિકો વતન જવા રવાના થતા લેબર ક્રાઈસીસનાં કારણે પ્લાન્ટ બંધ કરવાનો વારો આવ્યો છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોક ડાઉનને પગલે ઉદ્યોગો ઘણા લાંબા સમય સુધી બંધ રહ્યા હતા. આ બાદ તંત્ર દ્વારા ઉદ્યોગોને શરુ કરવા મંજુરી આપવામાં આવી હતી.
જો કે, બીજી તરફ પર પરપ્રાંતિય શ્રમિકોની વતન વાપસી માટે પણ સરકારે દ્વાર ખોલી દેતા ઉદ્યોગોનાં દ્વાર જાણે બંધ થવા લાગ્યા છે. લોકડાઉનના કારણે મુશ્કેલી વેઠી રહેલા શ્રમિકો ટ્રેન મારફતે વતન જવા રવાના થયા છે. જેના પગલે અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગોમાં લેબર ક્રાઈસીસ સર્જાઈ છે. અંકલેશ્વર પાનોલીના ઉદ્યોગોમાં મોટા ભાગના પરપ્રાંતિયો કામ કરે છે. ભરૂચ જીલ્લામાંથી ૧૨ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોએ વતનની વાટ પકડી છે, ત્યારે ઉદ્યોગોમાં કામદારોની અછત સર્જાઈ છે અને અનેક પ્લાન્ટ બંધ થવાને આરે છે. વતન ગયેલા શ્રમિકો આગામી ૨ થી ૩ મહિના સુધી પરત ફરી શકે એવી શક્યતા દેખાઈ નથી રહી ત્યારે આવનારા દિવસો ઉદ્યોગો માટે કપરા સાબિત થઇ શકે છે.