ભરૂચઃ જિલ્લામાં કોવિડ-19ના વધી રહેલા કેસો બાબતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેક્ટરે કોવિડ-19ના વધી રહેલા કેસો બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે સઘન કોન્ટેક્ટ ટ્રેસીંગ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને સુચના આપી હતી. આ ઉપરાંત લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે હોમિયોપેથીક દવા અને આયુર્વેદિક ઉકાળાનું સતત વિતરણ થાય. તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે સ્વકાળજી લઈ આ પ્રકારની દવાઓ લોકો નિયમિત રીતે લેતા રહે તે માટે આશાવર્કર અને વોલન્ટીયર્સ મારફતે મોનિટરીંગ થાય તેવું આયોજન કરવા સહિતની સૂચના આપવામાં આવી હતી.