ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકોનો ઈતિહાસ ખુબ જ ઉજળો છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. જે તે સમયે મુગલોના આક્રમણથી રજવાડાઓમાં ફૂટ પડવા લાગી હતી અને મુગલો તમામ રજવાડાઓ પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતાં. આ અરસામાં મુગલોએ જયારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે મુગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. રાજાની આવી સુચના બાદ મુગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત ચોરી છુપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યા હતાં.
પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમર લાયક થતા તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતાં. પરંતુ, રાજસ્થાનથી લાઇ આવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે તેવી માન્યતાને લઇ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચુંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકી ભાઈ-બીજના દિવસે પરત ફરતા તે સમયે મુગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતાં. જે બખ્તર આજે પણ હયાત છે અને આ પરંપરાને પણ રાઠોડ ભાઈઓએ સાડા સાતસો વર્ષથી જાળવી રાખી છે. પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચુંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે અને ભાઈ બીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હ્ડીલા ગાય છે અને ત્યારબાદ અશ્વદોડનું આયોજન કરે છે. લગભગ ૧૦૦થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લા સાડા સાતસો વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દુર દુરથી હજજારોની સંખ્યામાં જન મેદની ઉમટી પડે છે.
રફતાર અને શોર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય જેથી કાયદો અને વ્યવસ્થા જાળવવી ખુબ જ અઘરી બની જતી હોય છે. પરંતુ, આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડતી હોવા છતાં અહી કોઈપણ જાતના પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના મુઠ્ઠીભર ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી સંભાળે છે. એટલું જ નહિ પરંતુ સાડા સાતસો વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી. સદીઓથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ પેઢીના લોકો તલવાર બાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુઓ બદલાતી જાય છે. પરંતુ, મુડેઠા ગામના દરબાર પરિવારો માટે તો આજે પણ સમય સાડા સાતસો વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે. જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. દર વર્ષે દિવસે યોજાતી આ અશ્વદોડનો ઈતિહાસ સાડા સાતસો વર્ષ જુનો છે અને દર વર્ષે ભાઈ બીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચુંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે તે અલગ અલગ પાટી એટલે પેઢીના હોય છે. જેમાં ખેતાણી, ભાલાણી, રાજાણી અને દુધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ પાટીના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચુંદડી આપવા જાય છે.
ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિં પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તેવો માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જુનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખુબ જ માનથી નવાજવામાં આવે છે.