બનાસકાંઠાઃ જિલ્લામાં ગત 2 દિવસથી અવિરત પણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત 2 વર્ષથી નહિવત વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લામાં પાણીની વિકટ સમસ્યાનું એંધાણ જોવા મળી રહ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે સતત એક અઠવાડિયાથી જિલ્લામાં વરસી રહેલા વરસાદના કારણે જિલ્લામાં મંડરાઇ રહેલું પાણીનું સંકટ ઓછું થતું જોવા મળી રહ્યું છે.
દિયોદરમાં ગત 5 દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો છે. દરરોજ એવરેજ 6 ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યું છે. આમ એક તરફ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વધુ વરસાદના કારણે નીચાણવાળી સોસાયટીઓમાં પાણી ભરાયાં છે. જેથી સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.