- બનાસકાંઠામાં વડાપ્રધાનના જન્મદિવસને ખેડૂતોએ શ્રમ યજ્ઞ કરી ઉજવ્યો
- સુજલામ સુફલામ કેનાલમાં ભંગાણ હોવાથી ખેડૂતોને પાણીની પડી રહી છે મુશ્કેલી
- કેનાલ રીપેરીંગ ન થતાં આખરે ખેડૂતોએ જાતે જ કેનાલ રિપેરીંગ કામ હાથ ધર્યું
બનાસકાંઠા : જિલ્લામાં ભૂગર્ભ જળની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે. જેના કારણે ખેડૂતો ત્રાહિમામ છે. કાંકરેજ તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફલામ કેનાલ 2017ના પૂરમાં ક્ષતિગ્રસ્ત થયેલી હોવાથી તેના રીપેરીંગ કામ માટે વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી નર્મદા વિભાગના તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે 200થી વધુ ખેડૂતોએ ભેગા થઈ જાતે જ કેનાલ રિપેરીંગ કામ હાથ ધર્યું હતું. ક્ષતિગ્રસ્ત થયેલી કેનાલની પાસે ભેગા થયેલા ખેડૂતોએ સૌપ્રથમ વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા માટે કેક કાપી અને ત્યારબાદ કેનાલ રિપેરિંગની કામગીરી હાથ ધરી હતી.
આ અંગે ખેડૂતોનું કહેવું છે કે, સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાથી ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે. પરંતુ કેટલાક અધિકારીઓની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતો માટે જે કામ થવું જોઈએ તે કામ હજી સુધી અધૂરા પડ્યા છે. સુજલામ સુફલામ કેનાલમાં ભંગાણ હોવાથી પાણી અમારા વિસ્તાર સુધી પહોંચતું નથી અને તેના કારણે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. આ મુશ્કેલી દૂર થાય તે માટે જ તેઓએ કેનાલ રીપેરીંગ કામ માટે શ્રમ યજ્ઞ ચાલુ કર્યું હતો.
વર્ષ 2017 માં આવેલા પૂરમાં સુજલામ સુફલામ કેનાલ કાગળની જેમ તૂટી પડી હતી. ત્રણ વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં આજદિન સુધી આ કેનાલ મામલે નર્મદા નિગમના અધિકારીઓ નિંદ્રાધીન છે. ત્યારે વડાપ્રધાનના જન્મદિવસે જ ખેડૂતોની આ કામગીરીને તેઓ સરકારનો વિરોધ નહીં પરંતુ વડાપ્રધાનના શ્રમ યજ્ઞ અને વધુ મજબૂત કરવા માટે જાતે કેનાલ રિપેરીંગ કરી રહ્યા છે.