બનાસકાંઠા: પાલનપુરની સત્યમ સોસાયટીમાં રહેતા વિનોદ ચોરસીયા મોરબીથી ઘરે પરત આવ્યા હતા. આ દરમિયાન આરોગ્ય વિભાગના નિયમો મુજબ તેમના ઘરની બહાર 20મી માર્ચથી સ્ટીકર લગાડી અને તેમને 3 એપ્રિલ સુધી હોમ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. નોવેલ કોરોના વાઈરસના ચેપની બીકે આ પ્રકારે અનેક પરિવારો ક્વોરેન્ટાઈન કરાયેલા હોય ચોરસીયા પરિવારને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો.
![Youth commits suicide on the last day of the home quarantine](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-bns-01-aatmhatya-photo-stori-gj10014_04042020120226_0404f_1585981946_358.jpg)
આ દરમિયાન વિનોદ ચોરસીયાના પરિવારની હોમ ક્વોરેન્ટાઈન મર્યાદા સમાપ્ત થવાના દિવસે જ તેમણે ગેળટૂંપો દઈને આત્મહત્યા કરી હતી. 48 વર્ષના ચોરસીયાએ આત્મહત્યા કરી લેતા તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ આત્મ હત્યાના બનાવની પ્રાથમિક તપાસ કરતા ચોરસીયાએ ઘરકંકાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યુ હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
ક્વોરેન્ટાઈનમાં રાખેલા પરિવારના મોભીએ આ પ્રકારનું અંતિમ પગલું ભરતા સમગ્ર સોસાયટીમાં હાહાકાર મચી ગયો હતો. મૃતક ચોરસીયાની ઉંમર 48 વર્ષ હતી અને તેમને ત્રણ સંતાનો હતા. પિતાએ અંતિમ પગલું ભરી અને જીવન ટૂંકાવતા હવે ત્રણ સંતાનો નિરાધાર બન્યા છે. જ્યારે આ પ્રકારના બનાવના કારણે લોકડાઉનના માહોલમાં પણ પાલનપુર શહેરમાં વાતાવરણ ગરમાયું છે.