અરવલ્લીઃ સમગ્ર વિશ્વમાં તારીખ-01/08/2020થી તારીખ-07/08/2020સુધી સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અમરનાથ વર્માના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લાના તાલુકાઓના સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સબસેન્ટર, ગ્રામ્ય કક્ષાએ સગર્ભામાતાઓ તેમજ ધાત્રી માતાઓની સોશ્યિલ ડિસ્ટન્સ સાથે લધુ શિબિરો યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાનની અગત્યતા વિષે સમજ આપવામાં આવી હતી. મહિલાઓને ”માતાનું દૂધ અમૃત સમાન’’, શિશુને જ્ન્મના પ્રથમ એક કલાકમાં સ્તનપાન કરાવો, માતાનું પહેલું પીળું ઘટ્ટ દૂધ બાળકની પ્રથમ રસી છે, 6 મહિના સુધી બાળકને ફક્ત સ્તનપાન કરાવો, માતાના દૂધમાંથી બાળકને જરૂરી તમામ પોષક તત્વો અને પાણી મળી રહે છે. નવજાતશિશુને મધ, ગળથૂથી કે ગોળનું પાણી ન આપવું, 6 મહિના પૂર્ણ થયા બાદ ઉપરી આહાર સાથે 2 વર્ષ સુધી સ્તનપાન અવશ્ય કરાવવું. બાળકની ઉંમર પ્રમાણે ઉપરી આહારની અગત્યતા તેમજ બાળ મૃત્યુ દર ઘટાડવા માટે બાળક માટે સ્તનપાન ખૂબ જ જરૂરી વગેરે બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માલપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલ સગર્ભામાતાઓ તેમજ ધાત્રી માતાઓને આર્યુવૈદિક છોડ જેવા કે તુલસી,અરડૂસી,સરગવો અને મધુનાસનીનું વિતરણ સાથે તેની સમજ આપવામાં આવી હતી.