અરવલ્લી : આદિવાસી સમાજના લોકોની જમીન બાબતે અરવલ્લી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અને આદિવાસી સમાજના અગ્રણી રાજેન્દ્ર પારધીએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે.
રાજેન્દ્ર પારધીએ મુખ્યપ્રધાનને પત્ર લખી જણાવ્યું છે કે, કોરોના વાઇરસની મહામારીથી દેશ અને ગુજરાત રાજ્યના લોકો પરેશાન છે. તેમજ લોકડાઉન કારણે ગરીબ શ્રમજીવી, મધ્યવર્ગ આર્થિક રીતે પરેશાન છે. તેવા સમયમાં નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની આદિવાસી વિસ્તારના 14 ગામમાં સરદાર સરોવર નિગમ દ્વારા આદિવાસી વિસ્તારની જમીન હડપ કરવામાં આવી રહી છે.
જમીન ખાલી કરાવવા માટે લોકો પર થઇ રહેલા અત્યાચારનો વીડિયો જોઈ અંત્યત દુખી થયો છું. આદિવાસી સમાજ પર અત્યાચાર કરી રહેલા અધિકારીઓ અને કર્મચારીઓ સામે તંત્રએ તાત્કાલિક પગલા લેવા જોઈએ તેવી માગ કરી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક તંત્રએ આ ગામના સરપંચ, આદિવાસી સમાજના સ્થાનિક અગ્રણીઓ અને જમીન ધારકોની સંમતી વિના તેમજ પહેલા જાણ કર્યા વિના લોકડાઉનનો લાભ લઈ માપણી કરી કાર્ય અને ફેનસિંગની વાડ કરાઇ રહી છે. જાણે કર્ફયુ લાગુ હોય તેમ ત્યાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ આદિવાસી સમાજના આગેવાનો સમાજના હક્ક અને અધિકાર માટે શાંતિ પૂર્વક ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆત કરતાં તેમના પર ખોટા કેસ કરી ફસાવવામાં આવી રહ્યા છે. તે બાબતે ન્યાય આપવા વિનંતી કરી હતી.