આણંદઃ જંત્રાલ ગામની રાજવાડીયા સીમમાં રહેતા અને ખેતીકામ કરતા ગુરૂભાઈ તેમજ એ જ ગામના ઘનશ્યામભાઈ અને રમણભાઈનો સંપર્ક વાલવોડ ગામે રહેતા રણજીતભાઈ અને કઠાણા ગામે રહેતા અજયભાઈ થયો હતો, તેણે કહ્યુ કે, આ લોકો ધાર્મિક વિધિ કરીને રૂપિયાનો વરસાદ વરસાવે છે અને એકના ડબલ કરે છે, જેથી ગુરૂભાઈ લાલચમાં આવી ગયા હતા, ત્યાર બાદ ડેમો માટે તેઓ ૩૧ હજાર રૂપિયા લઈને પહોંચ્યા હતા. જ્યાં બન્નેને રાસ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં અશોકભાઈ, જગમોહન મોરારી બાપુ, નટુભાઈ અને અન્ય ત્રણ શખ્સો હાજર હતા. તેઓએ ૩૧ હજાર રૂપિયા ધાર્મિક વિધિમાં મૂકાવીને પૈસાનો વરસાદ વરસાવ્યો હતો અને આ બધા પૈસા જોઈતા હોય તો બીજા પૈસા લઈને આવવું પડશે તેમ જણાવ્યું હતું.
૨૩ જાન્યુારીના રોજ ગુરૂભાઈ સહિત ત્રણેય ખેડૂતો દોઢ-દોઢ લાખ એમ કુલ ૪.૫૦ લાખ લઈને ડબલ કરવા તૈયાર થઈ ગયા હતા. તેઓને રાસથી સારસા ચોકડીએ લાવવામાં આવ્યાં હતાં, જ્યાં એક કારમાં આવી ચઢેલા જગમોહન મોરારી બાપુ સહિતના લોકોએ ત્રણેય પાસેથી ૪.૫૦ લાખ રૂપિયા લઈને એક ડબ્બામાં મૂકાવી દીધા હતા, ત્યારબાદ વાસદ તરફ વિધિ કરવાની છે તેમ જણાવીને કારમાં જવા નીકળ્યા હતાં. પ્લાન મુજબ થોડે દૂર ગયા ત્યાં જ એક કાર પાછળથી ઓવરટેક કરીને રસ્તા વચ્ચે ઊભી થઈ ગઈ હતી અને તેમાંથી બે શખ્સો ઉતર્યા અને અમે પોલીસના માણસો છીએ તેમ જણાવ્યું હતું.
બાદમાં ગુરૂભાઈ સહિત ત્રણેય ખેડૂતોને નીચે ઉતારીને તમામ કારોમાં સવાર થઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે રણજીત અને અજયને ઝડપી પાડ્યા હતા, તેઓની પૂછપરછમાં જગમોહન મોરારી બાપુ સહિતના અન્ય શખ્સોની કેટલીક કડીઓ મળી છે. જેના આધારે તેઓને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.