આણંદ : ઉલ્લેખનીય છે કે, અમૂલની ચૂંટણી આગામી 28 ઓગસ્ટે યોજાનાર છે. નિયામક મંડળની 12 બેઠકો માટે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 12 બ્લોકમાંથી કુલ 105 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ફોર્મ ચકાસણી દરમિયાન કુલ ભરાયેલા 105 ફોર્મમાંથી બે કે ત્રણ વખત ભરેલા ઉમેદવારી પત્રો રદ કરાતા કુલ 68 ઉમેદવારો રહ્યા હતા. જેમાંથી 5ના ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. જેમાંથી ફોર્મ ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં કુલ 30 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે. જેમાં સૌથી વધુ નડિયાદ બ્લોકમાંથી 5 અને પેટલાદમાંથી 4 ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવ્યા છે.
અંતિમ દિવસે પરત ખેંચાયેલા ઉમેદવારી પત્રોમાં આણંદ બ્લોકમાં મહીડા વિજયસિંહ ભાઇલાલભાઇ (વડોદ), મહીડા કરણસિંહ ભગવાનસિંહ (ઘોરા), ખંભાતમાં ગોહિલ જશુબા બહાદુરસિંહ (ખડા), ગોહેલ મંજુબેન દાનુભાઇ (તામસા), પટેલ સુરેખાબેન રાજેશભાઇ (જહાજ), બોરસદમાં પઢીયાર ગુલાબસિંહ રતનસિંહ (કહાનવાડી), પેટલાદમાં સોલંકી સતીષભાઇ પરસોત્તમભાઇ (ગાડા), સોલંકી અંજનાબેન વિનુભાઇ (દેદરડા), પટેલ ગૌરીકભાઇ ગોરધનભાઇ (શેખડી), પટેલ ઘનશ્યામભાઇ કનુભાઇ (ખડાણા), કઠલાલમાં રાઠોડ સુરસિંહ ચેહરાજી (મોતીપુરા), કપડવંજમાં ચૌહાણ ગીતાબેન નરેન્દ્રસિંહ (લાડુજીના મુવાડા), મહેમદાવાદમાં ડાભી રમણભાઇ ગોતાભાઇ (જાળીયા), પરમાર વિઠ્ઠલભાઇ મંગળભાઇ (સણસોલી), માતરમાં પરમાર ભગવતસિંહ કાળીદાસ (માતર) અને નડિયાદ બ્લોકમાંથી ઝાલા પ્રભાતસિંહ જીવાભાઇ (સુરાશામળ), વાઘેલા બળવંતસિંહ ધુળાભાઇ (ચકલાસી), પંડ્યા વિક્રમભાઇ રાજેન્દ્રપ્રસાદ (ડભાણ), વાઘેલા સુરેશભાઇ ગોરધનભાઇ (ચકલાસી) અને વાઘેલા રાવજીભાઇ સોમાભાઇ (ચકલાસી)એ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી.
- આણંદ બ્લોકમાં સૌથી વધુ 5 ઉમેદવારો
બ્લોક વાઈઝ ઉમેદવારો વચ્ચે ટક્કર
બ્લોકનું નામ : કુલ ઉમેદવારો
- આણંદ : 5
- ખંભાત. : 3 (મહિલા બેઠક)
- બોરસદ. : 2
- પેટલાદ : 2
- બાલાસિનોર : 2
- કઠલાલ : 4
- કપડવંજ : 2(મહિલા બેઠક)
- મહેમદાવાદ. : 3
- માતર : 3
- નડિયાદ : 2
- વિરપુર : 3
ઠાસરા બ્લોકમાંથી વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર બિનહરિફ રહ્યા...અમૂલની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાની મુદ્દત પૂર્ણ થતા ઉમેદવારોની આખરી યાદી જાહેર કરવા સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અમૂલના નિયામક મંડળની 12 બેઠકો પૈકી ઠાસરા બ્લોકમાંથી વર્તમાન ચેરમેન રામસિંહ પરમાર બિનહરિફ રહ્યા છે. આથી બાકીની 11 બેઠકો માટે હવે 31 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. જેમાં આણંદ બ્લોકમાં સૌથી વધુ 5 ઉમેદવારો હોવા સાથે ઉમરેઠના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઇ પરમાર અને આણંદના કોંગ્રેસના ધારાસભ્ય કાન્તિભાઇ સોઢાપરમાર વચ્ચે સીધો ચૂંટણી જંગ થશે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.,આણંદના ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર, આણંદ (પ્રાન્ત) જે.સી.દલાલ દ્વારા અમૂલની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આખરી હરિફ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી પત્ર ભરવા સહિત પરત ખેંચવાની કાર્યવાહીનું પ્રાંત કચેરીમાં વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું. જેથી ભવિષ્યમાં કોઇ વાંધા કે આક્ષેપ સામે પૂર્તતા કરી શકાય.
બુધવારે ચૂંટણી અધિકારી-પ્રાંત અધિકારી, આણંદ દ્વારા તમામ હરીફોને ચૂંટણી ચિન્હની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં હેલીકોપ્ટર, ચાવી, હોડી ચલાવતો માણસ, ટ્રક, અનાજ દળવાની ઘંટી, ગન્ના કિસાન, ટેબલ, ફૂટબોલ, ડોલ, ટેલિફોન, કીટલી, પ્રેશરકુકર વગેરે ચૂંટણી પ્રતિકો ફાળવવામાં આવ્યા હતા.