ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના પ્રવક્તા મનીષ દોશી સુરજેવાલાના જામીનદાર બનતા કોર્ટે 15 હજારના પર્સનલ બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હોવા છતાં વારંવાર ગેરહાજર રહેતા સૂરજેવાલા વિરુદ્ધ જામીનપાત્ર વોરન્ટ જારી કરવામાં આવ્યું હતું. જામીનપાત્ર વોરન્ટ પહેલા સૂરજેવાલાને કોર્ટમાં હાજર રહેવા માટે બે-વાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલા વિરુદ્ધ અમદાવાદ ઘીકાટા મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા કરવામાં આવેલા જામીનપાત્ર વોરન્ટ સામે કોંગ્રેસના વકીલ દ્વારા વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. અગાઉ આ કેસમાં રાહુલ ગાંધીના જામીન 15 હજારના પર્સનલ બોન્ડ પર મંજૂર કરવામાં આવ્યા હતા. નોટબંધી વખતે ADC બેન્ક વિશે વિવાદાસ્પદ પ્રેસ કોન્ફરેન્સ યોજવા બદલ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાને પણ અગાઉ કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યો હતો. જો કે સમન્સની બજવણીના થતાં ફરીવાર સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
ADC બેન્ક બદનક્ષી કેસમાં અગાઉ રાહુલ ગાંધી દ્વારા કાયમી એક્ઝેમશન અરજી દાખલ કરી હતી જેનો અરજદાર અને ADC બેન્કના ચેરમેન અજય પટેલના વકીલે વાંધો ઉઠાવ્યો હતો. અગાઉ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી અને કોંગ્રેસી પ્રવક્તા રણદીપ સુરજેવાલાને ગત 27મી મે ના રોજ હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું. જો કે એ જ દિવસે એટલે કે 27મી મે ના રોજ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂની 55મી પૂણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધીએ મેટ્રો કોર્ટ પાસેથી હાજર ન થવાની મુક્તિ માગી હતી. જેને ધી-કાંટા મેટ્રો કોર્ટ મેજીસ્ટ્રેટ એ.કે ગઢવીએ માન્ય રાખી હતી.
અગાઉ રાહુલ ગાંધી વતી વકીલ પંકજ ચાંપાનેરીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, 27મી મે 1964ના રોજ મૃત્યુ પામેલા દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂની 55મી પુણ્યતિથિ હોવાથી રાહુલ ગાંધી સમન્સ પ્રમાણે કોર્ટમાં હાજર રહી શકશે નહિ. જેથી તેમને આજે હાજર થવામાંથી મુક્તિ આપવામાં આવે, જે માગ કોર્ટે સ્વીકારી લીધી હતી.
અગાઉની સુનાવણીમાં જયદીપ શાહ અને શૈલેષ પંચાલ નામના બંને સાક્ષીએ કોર્ટ સમક્ષ નિવેદન આપ્યું હતું કે, રાહુલ ગાંધી અને સુરજેવાલાએ ટ્વિટમાં ADC બેન્કને કૌભાંડી ગણાવી હતી. જે વાંચીને અમે અમારૂ ખાતું ત્યાંથી બંધ કરાવીને અન્ય બેંકમાં ખોલાવ્યું હતું. આ અંગેના સામાચાર પણ ટીવીમાં જોયા હોવાનું સાક્ષીઓએ દાવો કર્યો હતો.
ADC બેન્કના ચેરમેન અજય પટેલે જણાવ્યું હતું કે, નોટબંધી વખતે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ADC બેન્ક પર ખોટી રીતે રૂપિયા 700 કરોડ બદલી આપવાનો આક્ષેપ લગાડ્યો હતો. એટલું જ નહિ ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સામેલ હોવાનો દાવો બંને દ્વારા કરવામાં આવતા તેમની બેંકની પ્રતિષ્ઠાને ફટકો પહોંચ્યો હતો.
નોટબંધી વખતે રાહુલ ગાંધી અને રણદીપ સુરજેવાલાએ આક્ષેપ કર્યો હતો કે, ADC બેન્કે 5 દિવસમાં આશરે 745 કરોડ રૂપિયા બદલી આપ્યા હતા. સુરજેવાલાએ કહ્યું હતું કે, ભાજપના નેતાઓ અને અધ્યક્ષ અમિત શાહ ADC બેન્કના નિર્દેશક હોવાથી માત્ર 5 દિવસમાં 11 જિલ્લાની ADC બેન્કમાં 745 કરોડ રુપિયાની જંગી રકમની હેરાફેરી કરવામાં આવી હતી.