- ઉતરાયણમાં દોરીથી અકસ્માતનો ભય
- દોરીથી બચવા વાહનો પર લગાડાય છે સળિયા
- સળિયા દ્વારા દોરીથી થતાં અકસ્માત રોકી શકાય
અમદાવાદ : શહેરના માર્ગો પર ઉતરાયણ પહેલાં ધારદાર દોરીથી રક્ષણ મેળવવા ટુ વ્હીલર પર સળિયા લગાડવાનું શરૂ થઇ ગયું છે. ઠેર ઠેર વાહન ચાલકોએ સ્ટિયરિંગ પર સળિયા લગાવી દીધા છે. ઉતરાયણ જેમ નજીક આવતી જાય એમ માર્ગો પર પતંગો વેચતા અને ઉડતા જોવા મળે છે. આકાશમાં ઉડતી પતંગ દોરી કપાઇને રોડ પર આવે કે પડે ત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ જાય છે. અકસ્માતો પણ સર્જાય છે, ઘણાં લોકોના મોં , ગળા પર, આંખો જેવા ભાગો પર ગંભીર ઇજાઓ પણ થાય છે.
દોરીથી અસંખ્ય લોકો બને છે અકસ્માતોનો ભોગ
છેલ્લાં કેટલાક વર્ષોથી શહેરના માર્ગો પર વાહનોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ઉતરાયણ નજીક આવતી હોય ત્યારે કેટલાક સ્લમ વિસ્તારના લોકો રોડ પર જ પતંગ ચગાવતા જોવા મળે છે. ચાલીઓ, સોસાયટીઓને મહોલ્લામાંથી પણ પતંગો ઉડે છે. આ ઉડતી પતંગોની દોરી અચાનક જ જ્યારે માર્ગ પર પડે છે. ત્યારે વાહન ચલાવવામાં મશગૂલ લોકો અકસ્માતનો ભોગ બની જાય છે.
દોરીથી બચવા મફલર, માસ્ક, હેલમેટ જરૂરી
ઉતરાયણ નજીક આવવાની શરૂ થાય કે, તરત જ કેટલાક લોકો સુરક્ષા માટે ગળે મફલર, માથે મજબુત હેલમેટ પહેરી લેતા હોય છે.
સળિયાનું ચલણ છેલ્લા કેટલાક વર્ષોથી વધ્યું
થોડા વર્ષોથી માર્ગો પર અચાનક જ પડતી દોરીને રોકવા વાહનો પર લોખંડના સળિયા સ્ટિયરીંગ પર લગાડવાનું શરૂ થયું છે. શહેરના બ્રિજ અને ખુલ્લી જગ્યાઓના માર્ગ પર જ ઠેર ઠેર સ્ટિયરીંગ પર વાયર લગાડતા લોકો જોવા મળે છે.
અનેક લોકોને મળે છે રોજગારી
જોકે, લોખંડના વાયર સળિયા દ્વારા દોરીથી થતાં અકસ્માત રોકી શકાય છે કે કેમ એ તો પરિસ્થિતિને આધીન છે. પણ દોરીના ડરથી અસંખ્ય લોકો વાહનો પર વાયરો લગાડે છે અને અનેક લોકો રોજગારી મેળવે છે.