ભાર્ગવી શાહના વકીલ એ.એસ. ટીમબાલિયાએ હાઈકોર્ટમાં રજુઆત કરી હતી કે, સમગ્ર છેતરપિંડીનો મૂળ આરોપી અરજદારનો પતિ વિનય શાહ છે, જ્યારે તેની પત્ની નિર્દોષ અને વ્યવસાયમાં સંડોવાયેલી નથી. અરજદારે ફરિયાદી પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. વિનય શાહની પત્ની હોવાથી તેને લાંબા સમયથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવી છે.આ કેસમાં પોલીસ તપાસ પૂર્ણ થઈ ચુકી છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ ગઈ હોવાથી તેને જામીન આપવા જોઈએ.અગાઉ મિર્ઝાપુર ગ્રામ્ય કોર્ટે તમામ ગુનામાં ભાર્ગવીના જામીન નામંજુર કરતા હાઈકોર્ટમાં રિટ દાખલ કરાઈ છે.
અરજદારે પુરાવવા સાથે કોઈ પ્રકારના ચેડાં કર્યા નથી, વળી પિતા વૃદ્ધ અને છોકરો અભ્યાસ કરતો હોવાથી તેમની સાથે રહેવું પણ ખુબ જ જરૂરી છે તેવો આગ્રહ કર્યો હતો.ભાર્ગવી શાહ વિરૂધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે.અગાઉ 1મી જુલાઈના રોજ જસ્ટીસ વી.એમ પંચોલીએ ભાર્ગવી શાહની જામીન અરજી મુદ્દે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,ઓનલાઈન માર્કેટિંગ થકી લોકોને પૈસાની લાંલચ આપી વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ પર લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો આક્ષેપ લગાડવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર પોલીસ સ્ટેસનમાં નોંધાયેલા ગુના પ્રમાણે ઓફિસમાં વિનય શાહ અને ભાર્ગવી શાહની હાજરીમાં ફરિયાદીએ 1 લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું જોકે તેના પછી કોઈ લાભ ન મળતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.