અમદાવાદ : ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકીના મોટા બહેન જશુ બહેનનું અવસાન થતાં દિનુ બોઘા અને તેમના સબંધી પ્રતાપ સોલંકી દ્વારા 15 દિવસ માટે વચ્ચગાળા જામીન અરજી દાખલ કરી હતી. જોકે કોર્ટે દિનુ બોઘાના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો 4 દિવસ અને પ્રતાપ સોલંકીના રિપોર્ટ નેગેટિવ આવે તો 2 દિવસના વચગાળા જામીન મંજુર કર્યા છે.
હાઇકોર્ટે નોંધ્યું છે કે દિનુ બોઘાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે તો 9મી જુલાઈએ સાબરમતી જેલમાં સરેન્ડર થવું અને પ્રતાપ સોલંકી 7મી જુલાઈના રોજ બપોરે ત્રણ વાગ્યે સુધીમાં જૂનાગઢ જેલમાં સરેન્ડર કરે તેવો આદેશ કર્યો હતો. કોર્ટે બંને આરોપીઓને એક લાખના પર્સનલ બોન્ડ પર વચગાળા જામીન મંજુર કર્યા છે. આ સિવાય અન્ય એક આરોપી શૈલેષ ગોસ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલી વચગાળા જામીન અરજી પરત ખેંચી લેવામાં આવી હતી. અગાઉ દીનું બોઘાએ તેમના પરિવારમાં ત્રણ - ત્રણ લગ્ન હોવાથી આશીર્વાદ આપવા માટે ૨૧ દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા જોકે કોર્ટે 4 દિવસના વચ્ચગાળાના જામીન મંજુર કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે દીનુ બોઘા અને અન્ય આરોપીઓ દ્વારા સીબીઆઈ કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે અપિલ અરજીને માન્ય રાખી વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. અમદાવાદની સીબીઆઇ કોર્ટે 11મી જુલાઈના રોજ મુખ્ય આરોપી દીનુ બોઘા, ભત્રીજા શિવ સોલંકી, સહિત કુલ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી..સીબીઆઈ કોર્ટે આરોપીઓને IPCની કલમ 302, 201, 120(b) મુજબ દોષિત જાહેર કર્યા હતા.. કોર્ટે આ કેસમાં જુબાનીથી ફરી ગયેલા કુલ 105 સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે જુલાઈ - 2010માં ગીર સોમનાથના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટ સામે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘાનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું હતું.