અમદાવાદ: કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવા હત્યાકાંડના મુખ્ય આરોપી અને ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા અને અન્ય બે આરોપીઓ પ્રતાપ સોલંકી અને શૈલેષ ગોસ્વામી દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
આ મામલે વધુ સુનાવણી જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારીયાની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવશે.
આ અગાઉ પણ દિનુ બોઘાએ તેમના પરિવારમાં લગ્ન હોવાથી 21 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા પરંતુ કોર્ટે 4 દિવસના વચગાળાના જામીન મંજૂર કરી હતી.
ઉલ્લેખનીય છે કે દિનુ બોઘા અને અન્ય આરોપીઓએ CBI કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. હાઈકોર્ટે અરજીને માન્ય રાખી વધુ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. અમદાવાદની સીબીઆઇ કોર્ટે 11મી જુલાઈના રોજ મુખ્ય આરોપી દિનુ બોઘા, ભત્રીજા શિવ સોલંકી, સહિત કુલ 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.
CBI કોર્ટે આરોપીઓને IPCની કલમ 302, 201, 120(b) મુજબ દોષિત જાહેર કર્યા હતા. તેમજ કોર્ટે આ કેસમાં જુબાનીથી ફરી ગયેલા કુલ 105 સાક્ષીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો હતો.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે જુલાઈ - 2010માં ગીર સોમનાથના RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાની ગુજરાત હાઇકોર્ટ સામે ગોળીઓ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર કેસની તપાસ કરતા ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘાનું મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું હતું.