અમદાવાદ : આ વર્ષે ધોરણ 10 તેમજ ધોરણ 12 ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરીક્ષાનું પરિણામ દર વર્ષ કરતા ઓછું જોવા મળ્યું હતું. 100 ટકા પરિણામ લાવનાર શાળાની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આ વર્ષે ધોરણ 6 થી 12 સુધીના પુસ્તકના અભ્યાસ ક્રમમાં બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.જેમાં પણ જૂના પુસ્તકને નવા કરી વહેચવામાં આવી રહ્યા છે તેવો આક્ષેપ કાઁગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા કરવામા આવ્યો છે.
નવા પુસ્તક જૂના પ્રકરણ : કોંગ્રેસ પ્રવકતા હેમાંગ રાવલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ તેના ભ્રષ્ટાચારી નીતિરીતિ અને છબરડાઓ માટે કુખ્યાત બની ગયું છે. વર્ષ 2023ના ધોરણ 10 અને 12ના પરિણામોમાં લાખો વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. 2023માં જે પરિણામ આવ્યું તેવું જ પરિણામ આગળ પણ આવી શકે તેમ હોય 2023 માં અચાનક ધોરણ 6 થી ધોરણ 12 ના પાઠ્યપુસ્તકોમાં ઘણા પ્રકરણો તેમજ તેમાં આવતા યુનિટને ઘટાડી દેવામાં આવ્યા છે. પરંતુ કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.
પરિપત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ પર ભણતરનો ભાર ઘટાડવા માટે ધોરણ 6 થી ધોરણ 12માં Rationalised Content in Textbooks અન્વયે પ્રકરણના કેટલાક મુદ્દાઓ કે સમગ્ર પ્રકરણ દૂર કરવામાં આવ્યા છે.પાઠ્યસામગ્રી મુજબ NCERT એ ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકો આ વર્ષે પ્રસિદ્ધ કરેલ છે. પરંતુ તે પુસ્તકોમાં પ્રકરણ ઘટાડી દેવામાં આવ્યા છે પેજ પણ ઓછા કરવામાં આવે છે તેમ છતાં તે પુસ્તકની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો નથી તે જ કિંમત રાખવામાં આવી છે. એક તરફ પાઠ્યપુસ્તક મંડળે પેપરના 108 રૂપિયા કિલોના ભાવે ટેન્ડર નક્કી કર્યું. તેની સામે અન્ય એજન્સીએ આજ ગુણવત્તાના પેપર સરકારના અન્ય વિભાગોને 87 રૂપિયા કિલો આપ્યું અને પાઠ્યપુસ્તક મંડળને પાર્ટી બનાવીને હાઇકોર્ટમાં જઈને આ જ પેપર 87 રૂપિયે કિલો આપવા માટે પિટિશન કરી હતી. એક જ વ્યક્તિને એક જ સંસ્થાને શા માટે આ પ્રકારનું ટેન્ડર વધારે ભાવે છેલ્લા 15 વર્ષથી અપાઇ રહ્યું છે. તેના સામે પણ સવાલો ઊભા કર્યા હતાં... હેમાંગ રાવલ(કોંગ્રેસ પ્રવકતા)
પાઠ્ય પુસ્તક મંડળનું શું કહેવું છે : કોંગ્રેસના આક્ષેપ અંગે વિનયગીરી ગોસાઈ પાઠ્ય પુસ્તક મંડળમાં નિયામકે જણાવ્યું હતું કે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવી નફો કે નહીં નુકસાનના સિદ્ધાંત પર ચલાવવામાં આવે છે અભ્યાસક્રમ બદલવામાં આવ્યો નથી પણ માત્ર સુધારો કરવામાં આવ્યો છે.
જૂના પુસ્તકો જે હાલ બજારમાં છે તે પણ ચાલશે અને આવનાર સમયમાં નવા પુસ્તકો પણ બજારમાં ઉપલબ્ધ થશે. હાલમાં તે નવા પુસ્તકોની છાપવાની કામગીરી ચાલી રહી છે.જૂ ના પુસ્તકોમાંથી જે પ્રકરણ રદ કરવામાં આવ્યા છે તે વાલીઓ અને વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે. જે પણ સુધારા કરવામાં આવ્યા છે તે ncertના સુધારા મુજબ જ કરવામાં આવ્યા છે...વિનયગીરી ગોસાઈ (પાઠ્ય પુસ્તક મંડળમાં નિયામક)
વિદ્યાર્થીઓ પાસેથી નફો રળવામાં આવે છે : હાલમાં બજારમાં જૂના કોર્સના પુસ્તકો ઉપલબ્ધ છે અને નવા કોર્સના પુસ્તકો પણ ઉપલબ્ધ છે. ધોરણ 10 ના ગણિતના જુના કોર્સના પુસ્તકમાં 318 પેજ હતા. તેની કિંમત 126 રૂપિયા હતી. નવા કોર્સમાં અભ્યાસક્રમ ઓછો કરીને 230 પેજનું ગણિતનું પુસ્તક બનાવવામાં આવ્યું છે.તેનો ભાવ 126 રૂપિયા જ રાખવામાં આવ્યો. ગુજરાત સરકારનું પાઠ્યપુસ્તક મંડળ વાલી અને વિદ્યાર્થીઓ પાસે નફો રળી રહ્યું છે. તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસની માંગ : ચાલુ વર્ષે બદલવામાં પુસ્તકોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ દ્વારા જૂના પુસ્તકોને નવા પુસ્તકો બતાવીને બજારમાં વહેંચવામાં આવી રહ્યા છે તેઓ આક્ષેપ છે. જે પણ આવા પુસ્તકો બજારમાં છે તે પરત લેવામાં આવે. જે પણ વિદ્યાર્થીઓને જૂના પુસ્તકો આપવામાં આવ્યા છે તેને વિનામૂલ્ય પરત લઇ નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવે તેવી કોંગ્રેસ તરફથી કરવામાં માગ આવી હતી.