એક જ પરિવારના અનેક લોકોના નામ સામે આવતા સોશિયલ મીડિયાામાં અનેક સવાલ ઉભા થયા છે. AMC દ્વારા જૂનિયર ક્લાર્કના 434 પદ માટે પરીક્ષા લેવામાં આવી હતી. 16 જેટલા પરિવારના બેથી ત્રણ સભ્યોને એપોઇન્ટમેન્ટ લેટર આપી દેવાયા છે, એટલે કે એક જ પરિવારના તમામ સભ્યોને નોકરી મળી ગઈ છે. ભૂતકાળમાં આવું ક્યારેય બન્યું નથી. એક જ પરિવારમાંથી બેથી ત્રણ ઉમેદવાર પરીક્ષા આપતા હોય અને તમામ ઉમેદવાર લેખિત પરીક્ષામાં તેમજ ઇન્ટરવ્યુમાં સારૂ મેરીટ લાવે એ બાબત ખૂબ જ ચોંકાવનારી અને શંકા ઉપજાવનારી છે.

અગાઉ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની સુપરવાઇઝર તથા આસિસ્ટન્ટની ભરતી માટે યોજાયેલી પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો થયા હતા. જેને પગલે આ પરીક્ષા પણ ત્રણ વખત રદ કરવી પડી હતી. જે બાદ ચોથી વખત ફટાફટ અને શંકાસ્પદ રીતે નિમણૂક કરી દેવાઈ હતી. સ્કૂલ બોર્ડની ભરતીનું કૌભાંડ હજુ તાજુ જ છે, ત્યારે ફરીથી અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનમાં સહાયક જુનિયર ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાની ફરિયાદ થઇ હતી.આ તમામ સભ્યોના પુરા નામ તથા તેમનો અરજી ક્રમાંક નંબર સહિતની તમામ વિગતો મુકવામાં આવી છે, આ મેસેજમાં એવું લખ્યું છે કે, હું છું ગુજરાત હું છું વિકાસ અને હું છું કૌભાંડ એક જ પરિવારના દરેક સભ્યોને AMC સહાયક જુનિયર ક્લાર્કમાં નોકરી મળી ગઈ.આ રીતનો મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
એવી શંકા વ્યક્ત કરવામાં આવી છે કે, હાલના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરા ભ્રષ્ટાચારીઓને છોડતા નથી, એ પ્રકારની એમની છાપ છે, પરંતુ કોર્પોરેશનની ભરતીમાં જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવા છતાં કમિશ્નર કેમ કોઈ પગલાં લેતા નથી તે પણ મોટો પ્રશ્ન છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષામાં દોઢ લાખ જેટલા ઉમેદવારોએ જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપી હતી. જોકે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ અગાઉ પરીક્ષાના સમયે અમરાઈવાડીની સ્કૂલમાં ઉમેદવારોએ હોબાળો પણ કર્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું કે, આવી કોઇ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને આવી ગેરરીતિ થવા દેવામાં આવશે પણ નહીં.