- અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જોખમી સર્જરી કરાઈ
- 11 વર્ષીય આસ્માબાનુંને મળ્યું નવજીવન
- સર્વાઇકલ ઓસ્ટીયોબ્લાસ્ટોની જટીલ સર્જરી કરાઇ
અમદાવાદઃ આસ્માબાનુના પરિવારને સુરતની ખાનગી હોસ્પિટલમાં સંતોષકારક જવાબ ન મળતા અન્ય ખાનગી હોસ્પિટલમાં ગયા ત્યાં આ સમસ્યાનું નિદાન અત્યંત ખર્ચાળ જણાઇ આવતા નિરાશ થઇને ઘરે પરત ફર્યા. તેવામાં એકાએક આસ્માના હાથપગ પણ કામ કરતા બંધ થઇ ગયા અને પેશાબ પણ રોકાઇ ગયો. જે જોઇ પરિવારજનો પર આભ તૂટી પડ્યુ હતું. તેવામાં તેમના સગામાંથી કોઇએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિદાન અર્થે જવા કહ્યુ. જે સાંભળી એકપણ ક્ષણ વ્યર્થ કર્યા વગર તેઓ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને તમામ રીપોર્ટ બાદ ત્રણ મણકામાં ગાંઠ નીકળી હતી.
![અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગરદનના મણકાની જટિલ સર્જરી કરાઈ, 11 વર્ષની દર્દીને નવજીવન બક્ષ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-surgery-in-the-cervical-vertebrae-photo-story-7202752_23122020175004_2312f_1608726004_585.jpeg)
11 વર્ષીય બાળકીની જોખમી સર્જરી કરાઈ
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવ્યા, ત્યારે આસ્માનો એમ.આર.આઇ. રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં ગરદાનના ત્રીજા, ચોથા અને પાંચમાં મણકામાં 1400 ઘન સે.મી. જેટલી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતુ. ગરદાનના ભાગમાં આ 3 મણકામાં ગાંઠ હોવી તેને સર્વાઇકલ ઓસ્ટીયોબ્લાસ્ટોમા કહેવામાં આવે છે. જેની સર્જરી અત્યંત જટીલ હોય છે. જેમાં ધ્યાન રાખવામાં ન આવે તો સર્જરી અથવા સર્જરી બાદ દર્દીનું મૃત્યુ થવાની પણ સંભાવનાઓ રહેલી હોય છે. આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને ઓર્થોપેડિક વિભાગના સહ પ્રધ્યાપક ડૉ. પિયુષ મિત્તલ અને તેમની ટીમ દ્વારા એનેસ્થેસિયા વિભાગના સંકલનથી આ સમગ્ર સર્જરી હાથ ધરવામાં આવી હતી. 3 કલાક ચાલેલી સર્જરીની ભારે જહેમત બાદ મણકાની સ્થિતી પૂર્વવત કરવામાં આવી હતી.
![અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગરદનના મણકાની જટિલ સર્જરી કરાઈ, 11 વર્ષની દર્દીને નવજીવન બક્ષ્યું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-15-surgery-in-the-cervical-vertebrae-photo-story-7202752_23122020175004_2312f_1608726004_752.jpeg)
કોઈપણ ગફલત દર્દીના જીવને જોખમી
ડૉ.પિયુષ મિત્તલે જણાવ્યું કે, આ સર્જરી મગજના ભાગની ખૂબ જ નજીક હોવાથી અત્યંત સંવેદનશીલ બની રહી હતી. જેમાં કોઇપણ પ્રકારની ગફલત થઇ જાય તો દર્દીના જીવનું જોખમ વધી શકવાની શક્યતાઓ પ્રબળ રહેલી હતી. જેની સંપૂર્ણ તકેદારી સાથે સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. ઓપરેશન કર્યા બાદ આસ્માની તબીબી સ્થિતિ ખૂબ જ સરસ છે. હાલ તે જાતે હલનચલન કરી શકે છે. તેમજ અન્ય કુદરતી ક્રિયાઓ કરવા પણ સક્ષમ બની છે. જેથી તેને ઘરે પરત ફરવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
તબીબીઓ સતત હિંમત આપી
આસ્માના માતા સાજેદાબાનુ કહે છે કે, મારી દિકરીએ જ્યારે હલનચલન કરવાનું બંધ કર્યુ, ત્યારે અમે ખૂબ જ ચિંતીત બની ગયા હતા અને તરત જ અમારા સગાવ્હાલાની સલાહ મળતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અહીં આવ્યા બાદ મારી દિકરીની સર્જરી ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ તબીબોએ અમને સતત હિંમત બાંધી અને સફળતાપૂર્વક સર્જરી કરીને મારી દીકરીને સ્વસ્થ બનાવી છે. જે માટે સિવિલ હોસ્પિટલ અને ગુજરાત સરકારની આભારી છું.
કોરોનામાં સ્પાઈન સર્જરી વિભાગે 214 સર્જરી કરી
સિવિલ હોસ્પિટલના સુપ્રિનટેન્ડેન્ટ ડૉ. જે.પી. મોદી કહે છે અમારી હોસ્પિટલમાં કોરોનાકાળમાં કોરોનાની સાથે-સાથે નોન કોવિડ વિભાગમાં પણ સતત શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે, જેનું ઉક્ત સર્જરી શ્રેષ્ઠ ઉદાહરણ છે કોરોનાકાળમાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગ દ્વારા 214 જેટલી અત્યંત જટિલ ગણાતી સ્પાઇન સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.