દુબઈઃ વિશ્વમાં કોરોના વાઇરસની અસર ક્રિકેટ પર પણ થઈ છે. જેથી વર્લ્ડ ક્રિકેટમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. ICCએ બોલ ચમકાવવા માટે લાળના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. આ અંગે ભારતીય ભૂતપૂર્વ ક્રિકેટર અનિલ કુંબલેની અધ્યક્ષતાવાળી ક્રિકેટ કમિટીએ લાળ પ્રતિબંધિત કરવાની ભલામણ કરી હતી.

લાળ લગાવવા પર અસ્થાયી પ્રતિબંધ
ICCએ બોલ પર લાળ લગાવવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. જો કોઇ ખેલાડી આવું કરશે તો અમ્પાયર ટીમને બે વખત ચેતવણી આપશે, ત્યારબાદ પણ જો ખેલાડી આવું કરશે તો પેનલ્ટી તરીકે બેટિંગ કરતી ટીમના સ્કોરબોર્ડમાં 5 રન ઉમેરવામાં આવશે. જ્યારે પણ લાળનો ઉપયોગ થાય તો અમ્પાયરે જ બોલને સાફ કરવો પડશે, ત્યારબાદ જ રમત ફરી શરૂ થઇ શકશે.
ડોમેસ્ટિક અમ્પાયરની નિયુક્તિ

આ સિવાય ICCએ બે દેશ વચ્ચે થનારી ડોમેસ્ટિક સીરિઝમાં ડોમેસ્ટિક અમ્પાયરની નિયુક્તિ કરવા માટે પણ મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી ICCના નિયમો પ્રમાણે ડોમેસ્ટિક સીરિઝમાં ન્યૂટ્રલ અમ્પાયરની જ નિયુક્તિ કરવામાં આવતી હતી, પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને આ નિયમને અત્યારે હટાવી લેવાયો છે. હવે બે દેશો વચ્ચો થનારી સીરિઝમાં ફીલ્ડ અમ્પાયર ડોમેસ્ટિક જ હશે. આ સિવાય મેચ રેફરી પણ ડોમેસ્ટિક હશે.
ટેસ્ટમાં કોરોના સબ્સ્ટીટ્યૂટનો નિયમ લાગૂ
કોરોના કન્કશન અંગે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ICCને એક પ્રસ્તાવ મોકલ્યો હતો. આ પ્રસ્તાવમાં ટેસ્ટ મેચ દરમિયાન કોઇ ખેલાડી કોરોના પોઝિટિવ દેખાય તો તેની જગ્યાએ સબ્સ્ટીટ્યૂટને મેદાન પર ઉતારવાની વાત કરવામાં આવી હતી. ખેલાડીને રિપ્લેસ કરવાનો માત્ર એક જ આધાર હશે. જો કોઇ બેટ્સમેન સંક્રમિત હશે તો તેની જગ્યાએ બેટ્સમેન જ ટીમમાં આવશે.
બોલરના મામલે પણ આ રીતે જ બદલાવ થશે. સંક્રમિત ખેલાડીની જગ્યાએ કયો ખેલાડી આવશે તેનો નિર્ણય મેચ રેફરી જ કરી શકશે. આમ, ટેસ્ટ મેચમાં કોરોના કન્કશનનો નિયમ લાગૂ થશે. તેનો અર્થ એ કે કોઇ ખેલાડી જો કોરોના સંક્રમિત હશે તો તેને રિપ્લેસ કરી શકાશે. જોકે આ નિયમ માત્ર ટેસ્ટ મેચમાં લાગૂ થશે, વનડે અને ટી20માં હજુ લાગૂ કરવામાં આવ્યો નથી.