મુંબઇ: કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરેક બાબતમાં સંપૂર્ણ રીતે પોતાનો અભિપ્રાય આપે છે. જો કે, ઘણી વખત તે વિવાદાસ્પદ ટ્વીટને કારણે ટ્રોલ થતી હોય છે. આટલું જ નહીં, વિવાદસ્પદ ટ્વિટ કરવા પર ટ્વિટરે તેને તેનું ખાતું સસ્પેન્ડ કરવાની ચેતવણી પણ આપી હતી, પરંતુ રંગોલીએ આવી પોસ્ટ ચાલુ રાખી હતી . જેથી ટ્વિટર દ્વારા તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.
બુધવારે 15 એપ્રિલના રોજ, સ્થાનિક લોકોએ યૂપીના મુરાદાબાદના નવાબપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહોંચેલા ડૉકટર્સ અને મેડિકલ સ્ટાફની ટીમ પર હુમલો કર્યો હતો. ડોક્ટરો કોરોનાવાઇરસના શંકાસ્પદ દર્દીને હોસ્પિટલમાં લઈ જવા માટે આવ્યા હતા.જોકે આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. એટલું જ નહીં, ડોકટરો, પેરા મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સની સુરક્ષા માટે તૈનાત પોલીસ ટીમ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.
રંગોલીએ મુરાદાબાદની આ ઘટના પર અંગે વિવાદિત નિવેદન આપ્યું હતું. રંગોલીએ લખ્યું - એક જમાતીનું મૃત્યુ કોરોનાથી થયું. જ્યારે ડોક્ટર તેના પરિવારની તપાસ કરવા પહોંચ્યો ત્યારે હુમલો કરી તેની હત્યા કરવામાં આવી. આવા લોકો અને મીડિયાને લાઇનમાં રાખીને ગોળી ચલાવવી જોઈએ. ઇતિહાસની પરવા ન કરવી જોઈએ.
જો કે આ હુમલામાં કોઈ ડોક્ટર અથવા સુરક્ષા કર્મચારીનું મોત નીપજ્યું નથી. માનવામાં આવે છે કે રંગોલીએ તેમના ટ્વીટમાં આ ખોટી માહિતી આપી છે.રંગોલીના આ ટ્વિટ પર સોશિયલ મીડિયા યુઝર્સ ગુસ્સે થયા હતા. લોકોએ તેમની સામે હિંસા ભડકાવવા અને નફરત ફેલાવવા બદલ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી.
લોકોએ લખ્યું કે કોઈ સેલિબ્રિટી જાહેરમાં કેવી રીતે હિંસા માટે ઉશ્કેરી શકે છે. કેટલાક લોકોએ ટ્વિટરને તેમનું ખાતું સસ્પેન્ડ કરવાની માગ કરી . અગાઉ, ટ્વિટરએ રંગોલીને ખાતું સસ્પેન્ડ કરવાની ચેતવણી પણ આપી હતી, જેની માહિતી રંગોલીએ પોતે આપી હતી અને કહ્યું હતું કે તેની પાસે બોલવાનો બીજો વિકલ્પ પણ છે. તે તેની યુટ્યુબ ચેનલ ખોલશે.
ફિલ્મમેકર રીમા કાગતી અને અભિનેત્રી કુબ્રા સૈતે મુંબઈ પોલીસને પત્ર લખીને રંગોલીના વિવાદિત ટ્વીટ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.જણાવી દઇએ કે રંગોલી હંમેશાં ટ્વિટર પર બોલિવૂડની હસ્તીઓને વિવિધ મુદ્દાઓ માટે નિશાન બનાવતી રહે છે. તેમાં રિતિક રોશન, આલિયા ભટ્ટ, તાપ્સી પન્નુ, અનન્યા પાંડે અને કરણ જોહર જેવા સેલેબ્સ શામેલ છે.