- પાદરા- જંબુસર હાઇવે પર ટ્રાફિક સમસ્ચાથી લોકો પરેશાન
- સ્થાનિક લોકોએ પાલિકા કચેરીમાં હલ્લાબોલ કર્યો
- પાલિકા દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવી
વડોદરાઃ શહેરના પાદરા-જંબુસર હાઈવે પર સરદાર પટેલ શાક માર્કેટ ચાર રસ્તા પાસે વારંવાર ટ્રાફિક સર્જાતો હોઈ છે અને નજીકમાં આવેલી દરજી અને આંબાવાડી સોસાયટીના રહીશો અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

ચાર રસ્તા પાસે લારીઓ તેમજ ગેરકાયદેસર મુસાફરો ભરીને હંકારતા વાહનચાલકો ઉભા હોઈ છે. જેના કારણે અહીંથી અવરજવર કરતા સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વારંવાર રજૂઆત કરવા છતા કોઈ ઉકેલ નહીં આવતાં રહીશો વિફર્યા હતા અને હાઈવે પર ચક્કાજામ કરતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જેને લઈ પોલીસ પણ દોડી આવી હતી અને રોડ ખુલ્લો કરાવ્યો હતો.

વિફરેલા રહીશો અને યુવાનો આ સમસ્યાની કાયમી ઉકેલની માંગ સાથે મોરચો પાદરા નગરપાલિકા ખાતે પહોંચ્યો હતો. પરંતુ, પાલિકાના પ્રમુખ નહીં હોવાથી રોષે ભરાયેલા રહીશોના ટોળાએ હોબાળો મચાવ્યો હતો. આખરે પાલિકા દ્વારા તેઓની સમસ્યા હલ કરવા લેખિતમાં બાંહેધરી અપાતા મામલો થાળે પડ્યો હોવાની માહિતી મળી છે.