- આણંદના યુવાનની હત્યા કરાઈ હતી
- ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ હતી
- આરોપીઓ પાસેથી બે મોબાઇલ અને બાઇક કબજે લીધી
સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષિલા આર્કેડ પાસે આણંદના સિદ્ધાર્થ રાવની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઇ હતી. હત્યામાં SOG- DCB અને સરથાણા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી સરથાણા ગઢપુર ત્રણ રસ્તા પાસેથી હત્યારા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો મનસુખ સાંગાણી અને પ્રકાશ ઉર્ફે ગઢવી નહરદાન કુંચાળાને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે જ બન્ને પાસેથી બે મોબાઇલ અને બાઇક પણ કબજે લીધી છે. હજુ પણ આરોપીઓ પાસેથી મોપેડ કબજે કરવાનું બાકી છે.
આ પણ વાંચો : સુરતના પુણા વિસ્તારમાં યુવકની હત્યા, સમગ્ર ઘટના CCTVમાં કેદ
કાર 50 હજારમાં ગીરવે મૂકી દેતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો
પોલીસે આ મામલે પૂછપરછ હાથ ધરી હતી. જેમાં હત્યા પાછળનું કારણ હત્યારા નિકુંજે મૃતક સિદ્ધાર્થે વાપરવા આપેલી કાર તેની જાણ બહાર રૂપિયા 50 હજારમાં ગીરવે મૂકી દેતા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો. નિકુંજને ફોન પર માથાકૂટ કરી તેની પત્ની અને પુત્રીને અપશબ્દો બોલ્યો હતો. આ દરમિયાન નિકુંજના મિત્ર પ્રકાશ ગઢવીને પણ અપશબ્દો બોલ્યો હતો. આથી બન્ને જણાએ સિદ્ધાર્થ રાવની હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં થાઇલેન્ડની યુવતીની હત્યા, SITએ ઉકેલ્યો ભેદ
CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી
ઉલ્લેખનીય છે કે, 24મી તારીખે સિદ્ધાર્થ રાવ ઈનોવા કાર લઈ સરથાણા જકાતનાકા ડ્રીમલેન્ડ બિલ્ડિંગ પાસે આવી બન્ને હત્યારાઓને બોલાવ્યા હતા. જ્યાં સિદ્ધાર્થ રાવે સાથે આરોપીઓની ગાળાગાળી થઇ હતી. જેના પગલે નિકુંજ અને પ્રકાશે સિદ્ધાર્થ રાવને જાંઘના ભાગે ચપ્પુના ઘા ઝીંકી ત્યાંથી મોપેડ પર ભાગી ગયા હતા. લોહીલુહાણ હાલતમાં સિદ્ધાર્થ રાવને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. બન્ને હત્યારા મોપેડ રસ્તામાં મૂકી પ્રકાશ ગઢવીની બાઇક પર ભાગી ગયા હતા. બીજી તરફ હત્યાની ઘટનામાં પોલીસે CCTV ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. જેમાં નિકુંજની ઓળખ થઈ હતી. હાલ આ મામલે પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.