- સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ રૂટ માટે જીઓટેકનિકલ સર્વેની કામગીરી શરૂ
- 11 KMમાં 600 પિલર બનાવવામાં આવશે
- 200 ઇજનેરોએ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ કરીસુરતમાં મેટ્રો રેલ કામગીરી શરૂ કરાઈ
સુરત: શહેરના સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ રૂટ માટે જીઓટેકનિકલ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટોપોગ્રાફી સર્વે અને જીયોટેકનીકલ સર્વેના આધારે મેટ્રો રેલવેના ટ્રેક માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે આ સર્વે બેથી ત્રણ મહિનાના ગાળા સુધી ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે. 11 કિમીમાં 600 પિલર બનાવવામાં આવશે. 200 ઇજનેરોએ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી શરૂ કરી દીધી છે.
સ્ટ્રક્ચરથી આસપાસની બિલ્ડિંગોને અસર ન પહોંચે તે માટે સર્વે
મેટ્રો ટ્રેનની કામગીરી હવે જોર પકડી રહી છે. મેટ્રો રેલ માટે હેવી સ્ટ્રક્ચર બનાવવાનું હોવાથી મેટ્રો રેલ દોડાવવાના પહેલા તેના હેવી સ્ટ્રક્ચરથી આસપાસની બિલ્ડિંગોને અસર નહીં થાય તે માટે સર્વે કરવો જરૂરી હોય છે. જીએમઆરસી દ્વારા મેટ્રો રેલના પ્રથમ રૂટ સરથાણાથી ડ્રીમસિટી માટે ટોપોગ્રાફી સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં જે તે રોડનો મેપ તૈયાર કરવામાં આવશે કે મેટ્રો રેલના રૂટ પર આસપાસ કેવી અને કેટલી બિલ્ડિંગો આવી છે સાથે જ રોડનું લેવલ કેટલું છે, કેટલી સર્વિસિસ આવે છે સર્વેની કામગીરી કરવામાં આવશે સંપૂર્ણ ડિઝાઇન નક્કી થયા બાદ મેટ્રો રેલ માટેની કામગીરી અતિ ઝડપી બનશે.
![સુરતમાં મેટ્રો રેલ કામગીરી શરૂ કરાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-sur-metrirail-10057_08022021180752_0802f_1612787872_607.jpg)
ફ્રાંસ સરકારે રૂપિયા 2 હજાર 211 કરોડનું ભંડોળ આપવાનો નિર્ણય લીધો
ફ્રાંસ સરકાર દ્વારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા 2 હજાર 211 કરોડનું ભંડોળ આપવાનો નિર્ણય લીધો છે. થોડા સમય પહેલા સુરતના સૂચિત મેટ્રો રેલ પ્રોજેક્ટની પ્રાર્થના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. કેન્દ્ર સરકારના નાણા મંત્રાલય અને ફ્રાંસ સરકાર વચ્ચે સુરત મેટ્રો રેલવેના પ્રોજેક્ટ માટે મજબૂતી કરાર પણ કરવામાં આવ્યો છે.
સ્ટેશન 7 હજાર સ્કેવર ફૂટ વિસ્તારમાં બનશે
ડ્રીમ સિટી પર સ્ટેશન 7 હજાર સ્કેવર ફૂટમાં વિસ્તારમાં બનશે. ડાયમંડ બુર્સને લઈને વિશેષ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સ પર સ્ટેશન બે માળનું હશે. જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ એરિયા, ચેક ઈન ગેટ હશે અને બીજા માળ પર પ્લેટફોર્મ હશે. જ્યાં પ્લેટફોર્મ 1 અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે. આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1500 પેસેન્જર હશે. દરેક રૂટ પર ચાર મેટ્રો ટ્રેન દોડવામાં આવશે, મેટ્રો 30 સેકન્ડ જ ઉભી રહેશે. દરેક કોચની અંદર 136 સીટ હશે. ત્રણેય કોચમાં 764 લોકો સફર કરી શકશે. જેમાં 136 સિટો હશે જ્યારે 628 લોકોએ ઉભા રહીને સફર કરવુ પડશે.
પ્રોજેક્ટથી સ્ટેશન નજીકની મિલકતોના ભાવ વધશે
સરથાણાથી ડ્રિમ સુધીના રૂટમાં સૌ પ્રથમ સ્ટેશન સરથાણા ત્યાર બાદ, નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિર કલાકુંજ, કાપોદ્રા, લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેર હાઉસ, સુરત રેલવે સ્ટેશન, મસ્કતિ હોસ્પિટલ, ચોક બજાર, કાદરશાની નાળ, મજૂરાગેટ, રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, અલથાણ ગામ, વીઆઈપી રોડ, સુરત વુમન આઈઆઈટી, ભીમરાડ, સરસાણા કોન્વોકેશન સેન્ટર, ડ્રિમ સિટી હશે. જેમાં કાપોદ્રાથી ચોક બજાર સુધી અન્ડર ગ્રાઉન્ડ હશે અને રૂટ 2ની વાત કરવામાં આવે તો ભેસાણથી સારોલી સુધીમાં કુલ 18 સ્ટેશન હશે. જેમાં સૌ પ્રથમ સ્ટેશન ભેસાણ ત્યાર બાદ બોટનીકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી. સવાણી સ્કૂલ, પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એક્વેરિયમ, બદરી નારાયણ ટેમ્પલ, અઠવાગેટ ચોપાટી, મજૂરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ ગામ, ભરત કેન્સર હોસ્પિટલ, સારોલી. આ રૂટ પર અંડરગ્રાઉન્ડ હશે નહીં. મેટ્રો પ્રોજેક્ટના ફાયદા વિશે વાત કરવામાં આવે તો આ પ્રોજેક્ટથી સ્ટેશન નજીકની મિલકતોના ભાવ વધશે અને સાથે ટ્રાફિક હળવું થશે. ટ્રાવેલનો સમય બચશે અને અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો પણ જોવા મળશે.
સર્વે બેથી ત્રણ મહિનાના ગાળા સુધી ચાલશે
હાલ મેટ્રો ટ્રેનની કામગીરી હવે જોર પકડી રહી છે. શહેરના સરથાણાથી ડ્રીમ સિટીના પ્રથમ રૂટ માટે જીઓટેકનિકલ સરવેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ટોપોગ્રાફી સર્વે અને જીયોટેકનીકલ સર્વેના આધારે મેટ્રો રેલવેના ટ્રેક માટેની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે. આ સર્વે બેથી ત્રણ મહિનાના ગાળા સુધી ચાલશે તેવું માનવામાં આવી રહ્યું છે.