બારડોલી: જિલ્લાના બારડોલી શહેરમાં શામરિયા મોરા વિસ્તારમાં રહેતા આધેડ બુધવારે સાંજે ગુમ થયા હતા. આ આધેડનો મૃતદેહ આજે ખાડીમાંથી મળી આવ્યો હતો.બારડોલીના શામરિયા મોરા વિસ્તારમાં ડાયમંડ એપાર્ટમેંટમાં પહેલા માળે રહેતા ઉમેશભાઈ દેવાભાઈ રબારી રત્નકલાકાર તરીકેનું કામ કરતાં હતા.તેઓ ઘરેથી ચાલવા નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા પરિવાજનોએ શોધખોળ શરૂ કરી હતી.

આજે શામરિયા મોરા વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં એક મૃતદેહ હોવાની જાણ થઈ હતી. બારડોલી ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડે મૃતદેહને બહાર કાઢતા ઉપસ્થિત તેમના પુત્ર અજયે પોતાના પિતાનો જ મૃતદેહ હોવાની ઓળખ કરી હતી.

આધેડના પુત્ર અજયે બારડોલી પોલીસને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, તેમના પિતા ઘણા સમયથી હાઇબ્લડ પ્રેશરની બીમારીથી પીડાતા હતા. સાંજે ચાલવા નીકળ્યા બાદ શામરિયા મોરા ફળિયામાંથી પસાર થતી ખાડી કિનારેથી તેમનો પગ અચાનક લપસી જવાથી ખાડીના પાણીમાં ડૂબી ગયા હોવાનું અનુમાન છે. પોલીસે આધેડના પુત્રની ફરિયાદના આધારે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.