સુરત: ગત શુક્રવારે છાયાબેન જમીને રાત્રે ટીવી જોતા હતા ત્યારે એકાએક તબિયત બગડતા તેમને તાત્કાલિક ઉધના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે INS હોસ્પિટલમાં ન્યુરોફિઝીશિયન ડૉ.અનિરુધ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવતા ડૉકટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.
આવા જ અન્ય બનાવમાં 63 વર્ષીય મનુ છીબા પટેલ ગત સોમવારે સાંજે મોરાર ગામેથી પોતાના ઘરે બાઈક પર પરત ફરી રહ્યા હતા. ત્યારે ડાંભર પાટિયા પાસે એક અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા મનુભાઈ પોતાની બાઈક પરથી ફંગોળાયા હતા. તેમને આ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તાત્કાલિક નવસારીની પારસી હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરતની INS હોસ્પિટલમાં ન્યુરોફિઝીશિયન ડૉ.અનિરુધ્ધ આપ્ટેની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.
તેમને પણ ડૉકટરોએ બ્રેઇન ડેડ જાહેર કરતા ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી બન્ને દર્દીના પરિવારજનોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.આખરે બન્ને પરિવારોએ અંગદાન માટે સંમતિ વ્યક્ત કરી હતી.
આમ કોવીડ-19 ના લોકડાઉન પછી સુરતમાં એક જ દિવસમાં INS હોસ્પિટલથી ડોનેટ લાઈફ દ્વારા બે બ્રેઈનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ચાર કિડની, બે લિવર સહીત ચાર ચક્ષુના દાન કરવામાં આવતા 10 વ્યક્તિઓને નવજીવન પ્રાપ્ત થયું છે.