જૂનાગઢઃ શહેરમાં કોર્પોરેશન વિસ્તારમાં આવેલી અને છેલ્લા ઘણા વર્ષોથી અનિયમિત રહેલી ઝૂંપડપટ્ટીઓને નિયમિત કરવાને લઈને શહેરમાં છેલ્લા 70થી વધુ દિવસોથી આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે ગુરૂવારે આંદોલન કરી રહેલા અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોએ વડાપ્રધાન મોદીના 70માં જન્મદિવસે આંદોલન છાવણીમાં છાણ માંથી બનાવવામાં આવેલી કેક કાપીને તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
જે પ્રકારે ઝૂંપડપટ્ટીને નિયમિત કરવા માટે આંદોલનકારીઓ દરરોજ નવા કાર્યક્રમો આપી રહ્યા છે, ત્યારે વડાપ્રધાનના જન્મદિવસે તેઓએ છાણની કેક કાપવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો, તેને લઈને કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી છે. પરંતુ જે પ્રકારે આંદોલન સતત આગળ વધી રહ્યું છે, તે જોતા વર્તમાન સમયમાં આંદોલનનો અંત આવે તેવું લાગતું નથી. આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક વિરોધ કાર્યક્રમો આંદોલનકારીઓ આપે તેવી શક્યતાઓને પણ નકારી શકાતી નથી.