- ગુજરાત હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ થઈ હતી
- જૂનાગઢમાં હજુ પણ ફાયર NOC વગર ચાલી રહી છે હોસ્પિટલો
- ફાયર NOCને લઈને મનપાના ઉદાસીન વલણ પર રાજ્યની ઉચ્ચ ન્યાયાલય પણ ચિંતિત
- જૂનાગઢમાં હજુ પણ ધમધમી રહી છે ફાયર NOC વગરની સંસ્થાઓ
જૂનાગઢઃ જૂનાગઢ મનપામાં હજુ પણ ફાયર NOC વગર અનેક સંસ્થાઓ ધમધમતી જોવા મળી રહી છે. સમગ્ર મામલાને લઈને જૂનાગઢમાંથી તુષાર સોજીત્રા નામની વ્યક્તિએ ગુજરાત હાઇકોર્ટમાં ફાયર NOCને લઈને રીટ પીટીશન કરતા હાઈકોર્ટે જૂનાગઢ સહિત રાજ્યની તમામ કોર્પોરેશનને નોટિસ પાઠવીને તેમના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો જવાબ માંગ્યો છે. એક વર્ષ પહેલા સુરતના તક્ષશિલા કોચિંગ ક્લાસિસમાં લાગેલી આગ બાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટનાએ કેટલાક લોકોનો જીવ લીધો હતો. જેને લઇને પણ ગુજરાત હાઇકોર્ટ હવે વધુ આકરી બની રહી છે અને કોર્પોરેશન વિસ્તારમાં ફાયર NOCને લઈને કરવામાં આવેલી કામગીરી અંગે ચિંતા વ્યક્ત કરીને તમામ કોર્પોરેશનને નોટિસ પાઠવી આગામી દિવસોમાં જવાબ રજૂ કરવાની તાકીદ કરી છે.
![જૂનાગઢમાં હજુ પણ ફાયર NOC વગર ચાલી રહી છે હોસ્પિટલો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-fire-vis-01-byte-01-pkg-hyc-7200745_30032021134338_3003f_1617092018_992.png)
આ પણ વાંચોઃ ફાયર NOC વગરની સુરતમાં કોવિડની કોઇ હોસ્પિટલ નથી
જૂનાગઢ શહેરમાં હજુ પણ અનેક સંસ્થાઓ જોવા મળે છે ફાયર NOC વગર
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તક્ષશિલા અગ્નિકાંડ બાદ શહેરમાં આવેલી તમામ સંસ્થાનોમાં ફાયરને લઈને તપાસ હાથ ધરી હતી. જે તે સમયે અનેક સંસ્થાઓ ફાયર NOC વગર જોવા મળતા તેને પણ સીલ કરવામાં આવી હતી. હવે ફરી એક વખત NOCને લઈને હાઈકોર્ટ પણ આકરી બની છે. જેને લઇને જૂનાગઢ મનપાએ 150 જેટલા સંસ્થાનોને ફાયર NOC મેળવી લેવા તાકીદ કરી છે. જેમાં હોસ્પિટલ શાળા છાત્રાલય કોચિંગ ક્લાસિસ અને બહોળા પ્રમાણમાં લોકોની અવરજવર થતી હોય તેવા સંસ્થાને નોટિસો પાઠવી છે અને આગામી સમય મર્યાદામાં તમામ સંસ્થાઓએ ફાયર NOC મેળવી લેવા તાકીદ પણ કરવામાં આવી છે.
![ફાયર NOCને લઈને મનપાના ઉદાસીન વલણ પર રાજ્યની ઉચ્ચ ન્યાયાલય પણ ચિંતિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-fire-vis-01-byte-01-pkg-hyc-7200745_30032021134338_3003f_1617092018_34.png)
જૂનાગઢ શહેરમાં અનેક સંસ્થાઓ હજુ પણ ફાયર સુવિધા વગર
જૂનાગઢ શહેરમાં અંદાજિત 200ની સંખ્યાની આસપાસ નાની મોટી શાળાઓ આવેલી છે. જે પૈકીની 50 ટકા કરતાં વધુ શાળાઓમાં ફાયર NOCને લઈને આજે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. વધુમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં સરકારી અને ખાનગી મહાવિદ્યાલય પણ આવેલી છે. આ તમામ મહાવિદ્યાલયોમાં ફાયરને લઈને આગવુ આયોજન થયેલું જોવા મળી રહ્યું છે પરંતુ કેટલીક કોલેજો ભાડાના મકાનમાં પણ ચાલતી હોવાની માહીતી મળી છે. આવી કોલેજોમાં ફાયર સેફ્ટીની સુવિધા નહીં હોવાનું પણ બહાર આવ્યું છે. શહેરમાં આવેલા નાના-મોટા રેસ્ટોરન્ટ પણ ફાયર સેફ્ટીના સાધન સામગ્રી અપૂરતા હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં જ્ઞાતિ આધારિત છાત્રાલયો પણ જૂનાગઢમાં ચાલી રહી છે, જેમની સંખ્યા અંદાજિત 50ની આસપાસ છે. આ છાત્રાલયમાં પણ મોટાભાગે ફાયર NOCને લઈને કોઈ ચોક્કસ આયોજન થયું હોય તેવું જોવા મળતું નથી.
આ પણ વાંચોઃ ફાયર સેફ્ટીને લઈને જૂનાગઢ મનપાએ 125 સંસ્થાઓને ફટકારી નોટિસ
નિયમ વિરુદ્ધ હોટેલો, રેસ્ટોરન્ટો, હોસ્પિટલો અને શાળાઓ ચાલી રહી છે
કોઈ પણ વ્યવસાય કે શિક્ષણ હેતુ માટે ચલાવવામાં આવતી સંસ્થાનો હજુ પણ ભાડાના કે અયોગ્ય મકાનોમાં ચાલી રહી છે. આવી ઈમારતોમાં અકસ્માતે પણ આગ લાગે તો ત્યાં સુધી પહોંચવું ફાયર ફાઈટર માટે ખૂબ મોટી સમસ્યા છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ મનપાએ પણ હવે 150 કરતા વધુ સંસ્થાને નોટિસો પાઠવીને ફાયર NOCની પૂર્તતા કરવા તાકીદ કરી છે.