- જામનગર મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરાયું
- નવા કરબોજ વગરનું રૂપિયા 612.49 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરાયું
- સ્થાયી સમિતિ અધ્યક્ષ મનિષ કટારિયાને સુપ્રત કરવામાં આવ્યું
જામનગરઃ કોરોના કાળમાં જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-22નું કોઇપણ નવા કરબોજ વગરનું રૂપિયા 612.49 કરોડનું બજેટ સ્થાયી સમિતિમાં રજૂ કરાયું હતું. આ બજેટમાં કોરોનાને કારણે નવો કોઇ જ કર વધારો કરવામાં આવ્યો નથી. હાલના જે દર છે તે દર યથાવત રાખવામાં આવ્યા છે. બજેટમાં ગત વર્ષ કોરોનાને કારણે અટકી પડેલાં આંતરમાળખાકિય કામોને પૂર્ણ કરવા પર જોર આપવામાં આવ્યું છે. જામનગર મહાપાલિકાનું વર્ષ 2021-22નું અંદાજપત્ર આજે સોમવારે સ્થાયી સમિતિ અધ્યક્ષ મનિષ કટારિયાને સુપ્રત કરવામાં આવ્યું હતું.
![જામનગર મહાનગરપાલિકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-04-bugdet-jmc-7202728-mansukh_22032021142022_2203f_1616403022_1094.jpg)
નવા કરવેરા વિનાનું બજેટ રજૂ કરાયું
વર્ષના અંતે 203 કરોડની પૂરાંત દર્શાવવામાં આવી છે. કોરોના કાળને કારણે વિલંબથી રજૂ થયેલાં આ બજેટમાં નવા વેરા કે નવા કામોના સમાવેશનો કોઇ અવકાશ ન હોય કોઇપણ જાતના ખચકાટ કે વિલંબ વગર સ્થાયી સમિતિ દ્વારા આ બજેટને બહાલી આપી દેવામાં આવી હતી.
![જામનગર મહાનગરપાલિકા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jmr-04-bugdet-jmc-7202728-mansukh_22032021142022_2203f_1616403022_910.jpg)
આ પણ વાંચોઃ રાજકોટ મનપા સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂપિયા 2291.24 કરોડનું બજેટ મંજૂર
30 માર્ચે જનરલ બોર્ડમાં બજેટ પર ચર્ચા કરાશે
આગામી 30 માર્ચે યોજાનારી જામ્યુકોની સામાન્ય સભાની બજેટ બેઠકમાં બજેટ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ અંતિમ બહાલી આપવામાં આવશે. આજે સોમવારે રજૂ કરાયેલા બજેટમાં ગત વર્ષ કોરોનાને કારણે અટકી પડેલાં કે વિલંબથી ચાલી રહેલાં વિકાસ કામોને વેગ આપી પૂર્ણ કરવા તરફ જોર આપવામાં આવ્યું છે. આ વર્ષે ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત શહેરમાં પાઇપલાઇન ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઉભું કરવા માટે નવા 25 કરોડના કામો હાથ ધરવામાં આવશે.
વિવિધ વિકાસ કામોને અપાશે પ્રાધાન્ય
જયારે સાથે-સાથે ભૂગર્ભ ગટર નેટવર્ક ઉભું કરવા માટે પણ રૂપિયા 61.79 કરોડના કામો હાથ ધરવામાં આવશે. જયારે શહેરમાં સડક યોજના અને લોકભાગીદારી અંતર્ગત રૂપિયા 25 કરોડના ખર્ચે ડામર અને સિમેન્ટ રોડનું નિર્માણ કરવામાં આવશે. આંતરમાળખાકિય સુવિધાના કામો અંતર્ગત ટાગોર કલ્ચરલ કોમ્પ્લેક્ષનો ડીપીઆર તૈયાર કરી લેવામાં આવ્યો છે. જે અંગે ગ્રાન્ટ પ્રાપ્ત થયાં બાદ કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. લાલપુર બાયપાસ પાસે નવું સ્મશાન બનાવવામાં આવશે. તેમજ સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધીના રીંગરોડને પહોળો બનાવવામાં આવશે. જયારે બીજા તબકકામાં વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધીના રીંગરોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જલ સે નલ યોજનાથી તમામ ઘરોમાં પીવાનું પાણી અપાશે
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 1404 આવાસ યોજનાનું રી -ડેવલોપમેન્ટ કરવામાં આવશે. જે અંગેના ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યા છે. જામનગરના નવા વિસ્તરેલાં વિસ્તારોને ધ્યાનમાં રાખી શહેરમાં હાપા અને લાલપુર બાયપાસ પાસે બે નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. જયારે રૂપિયા 2 કરોડના ખર્ચે ફાયરના નવા સાધનો વસાવવામાં આવશે.