ગાંધીનગરઃ રાજય સરકાર દ્રારા કોરોનાનું બહાનું આગળ ધરીને રાજ્યમાં હાલ સરકારી ભરતી પર રોક લગાવી દીધી છે. જેના કારણે રાજ્યના લાખો યુવક બેરોજગાર બનીને સરકારી ભરતીને વાટ જોઈને બેસી રહ્યાં છે, ત્યારે સરકાર ભરતી પ્રક્રિયા શરૂ કરે તે માટે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્રારા વિવિધ કાર્યકમો યોજીને આંદોલન ચલાવી રહ્યાં છે. ત્યારે આજે સવારે શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના કેટલાક આગેવાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતાં જ્યાં કોગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ઉમેદવારોને ધ્યાનથી સાંભળીને તેમને રોજગારી મળે તે માટે ગુજરાત સરકારનું ઘ્યાન દોરવાની વાત કરી હતી. સાથોસાથ અમિત ચાવડાએ મીડિયા સમક્ષ આવીને ભાજપ સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર 22 વર્ષથી સત્તા પર છે. જેમાં સરકારે શિક્ષણનું વેપારીકરણ કરી દીધું છે. ચૂંટણી વખતે યુવાનોના મત હાંસલ કરવા માટે રોજગારી આપવાના ઠાલાં વચન આપે છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રોજગારી આપી શકતી નથી.
કોંગ્રેસનો આરોપ સરકાર રાજ્યના યુવા ઉમેદવારના ભાવિ સાથે ચેડાં કરી રહી છે અમિત ચાવડા ભાજપ સરકાર પર વધુ પ્રહાર કરતાં જણાવ્યું હતું કે સરકાર ભરતીની જાહેરાત કરે છે અને રાજ્યના યુવા ઉમેદવાર ભરતીના ફોર્મ ભરીને ફી પણ ભરે છે અને સરકાર ફીના માધ્યમથી કરોડો રૂપિયા કમાય છે તેમ છતાંય વિધાથીઓની પરીક્ષાનું આયોજન કરતી નથી. સરકાર આ ભરતીના નાણાંમાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહી છે. અગાઉ પણ સરકારે તેની ભરતીમાં પેપર લીક થવા સહિત અન્ય છબરડા સામે આવ્યાં છે અને પેપર લીક કરનારા ભાજપના મળતીયા સામે આવ્યાં છે. જેમની સામે ભાજપે કોઈ પગલાં ભર્યા નથી. 74 જેટલા સરકારી ભરતીના પ્રશ્ર્નો પડતર છે તેમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી. સરકાર રાજ્યના યુવા ઉમેદવારના ભાવિ સાથે ચેડાં કરી રહી છે. જેથી કોંગ્રેસ પક્ષ રાજ્યના બેરોજગાર યુવા ઉમેદવારને પોતાનું સમર્થન કરી રહી છે અગાઉ પણ જ્યારે બિનસચિલવાયની પરીક્ષામાં ઉમેદવાર આંદોલન કર્યું હતું તે સમયે કોંગ્રેસ પક્ષે ઉમેદવારોને ટેકો આપી તેમના આંદોલનને આગળ વધાર્યું હતું.કોંગ્રેસનો આરોપ સરકાર રાજ્યના યુવા ઉમેદવારના ભાવિ સાથે ચેડાં કરી રહી છે બીજી બાજુ શિક્ષિત બેરોજગાર યુવા સમિતિના આંદોલન કરનારા દિનેશ બાંભણીયા જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષને બેરોજગાર યુવાનોની વેદનાની રજૂઆત કરશે અને ત્યારબાદ સાંજે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા સમક્ષ પણ રજૂઆત કરશે અને તેમ છતાંય સરકાર ભરતી પ્રક્રિયા શરૂ નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન શરૂ કરવામાં આવશે.