ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગર પાલિકાનો વિસ્તાર વધારવા 18 ગામડા અને પેથાપુર નગરપાલિકાનો સમાવેશ કરાયો છે, ત્યારે ગામડાનો સમાવેશ કરવાની સાથે જ સરપંચ પાસેથી સત્તા છીનવી લેવાઈ છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના સદસ્યોની સત્તા તે સમયે લેવામાં આવી નહોતી, પરંતુ ગુજરાત ગવર્મેન્ટ ગેજેટના 1 સપ્ટેમ્બરના ઓર્ડર પ્રમાણે ગાંધીનગર તાલુકા પંચાયતના 9 સભ્યોને રદ કરવામાં આવ્યા છે. જેમાં 6 ભાજપના અને 3 કોંગ્રેસ સભ્યો સામેલ છે. જેથી 9મી સપ્ટેમ્બરના રોજ યોજાનારી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં હવે કોંગ્રેસના હાથમાં સત્તા આવશે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-00-talukapanchayat-7205128-special_07092020225159_0709f_1599499319_203.jpg)
ગાંધીનગર તાલુકા પંચાયતમાં 36 સભ્યો અત્યાર સુધી કાર્યરત હતા. જેમાં કોંગ્રેસના મેન્ડેટ ઉપર 18 સભ્યો ચૂંટાયા હતા, જ્યારે રાંધેજા બેઠકના અપક્ષ ઉમેદવાર રસિકજી ઠાકોર કોંગ્રેસની સમર્થન આપતા 19 સભ્યો થયા હતા, જ્યારે ભાજપના મેન્ડેટ ઉપર 15 સભ્યો ચૂંટાયા હતા. જેને 2 અપક્ષ સભ્યએ સમર્થન આપતા આંકડો 17 ઉપર પહોંચ્યો હતો. ચૂંટણી સમયે કોંગ્રેસના સભ્યોએ બગાવત કરી હતી. જેને લઇને કોંગ્રેસ પાસે બહુમતી હોવા છતાં પ્રમુખ-ઉપપ્રમુખ ભાજપના બન્યા હતા.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-gdr-00-talukapanchayat-7205128-special_07092020225159_0709f_1599499319_944.jpg)
હાલ ભાજપ કોંગ્રેસના સભ્યો રાજસ્થાનના પ્રવાસે
9 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 કલાકે પ્રમુખ, ઉપપ્રમુખની અઢી વર્ષની મુદત પુરી થતા ચૂંટણી યોજાશે, ત્યારે ભાજપ સત્તા બચાવવા માટે આબુના યસ રિસોર્ટમાં પહોંચ્યા છે. આ સાથે જ કોંગ્રેસના સભ્યો પણ ઉદેપુરમાં આવેલા રાજતિલક રિસોર્ટમાં પહોંચ્યા છે, હવે આ ગેજેટમાં જણાવ્યા પ્રમાણે ભાજપના 6 સભ્યો રદ થાય છે. જેને લઈને ભાજપની કુલ સભ્ય સંખ્યા અપક્ષ સહિત 11 થશે, જ્યારે કોંગ્રેસના 3 સભ્ય રદ થાય છે, ત્યારે અપક્ષ સહિત 16 સંખ્યા થશે. એટલે કોંગ્રેસના હાથમાં આગામી અઢી વર્ષની સત્તા આવશે.
આ પણ વાંચોઃ તાલુકા પંચાયતમાં સત્તા બચાવવા ભાજપના સભ્યો આબુમાં, સત્તા મેળવવા કોંગ્રેસના ઉદેપુરમાં
ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપના કાર્યરત છે. ત્યારે આગામી 9મી સપ્ટેમ્બરે તાલુકા પંચાયતના અઢી વર્ષની મુદત પૂર્ણ થતી હોવાથી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાશે. ચૂંટણીના પરિણામથી જ ભાજપ લઘુમતીમાં છે, જ્યારે કોંગ્રેસ બહુમતીમાં છે. ત્યારે સત્તા બચાવવા માટે ભાજપના સભ્યો આબુમાં પહોંચ્યા છે. તો સત્તા મેળવવા માટે કોંગ્રેસના સભ્યો ઉદેપુરના રિસોર્ટમાં પહોંચ્યા છે.