ગાંધીનગર : કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો.હર્ષવર્ધને દેશમાં પ્રવર્તી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે વિવિધ રાજ્યોના આરોગ્યપ્રધાન સાથે રાજ્ય સરકારોએ લીધેલાં પગલાં અંગે વીડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા આજે સમીક્ષા કરી હતી.
ડો. હર્ષવર્ધને કોરોના વૈશ્વિક મહામારીના જંગ સામે તમામ રાજ્યો દ્વારા થઇ રહેલી કામગીરીને બિરદાવતાં કહ્યું કે, તમામ રાજ્યો છેલ્લા ચારેક મહિનાથી જે રીતે દિન-રાત સતત મહેનત કરી રહ્યાં છે અને કોઈપણ પ્રકારની કસર છોડતા નથી. તેના પરિણામે ભારતને કોરોના સંક્રમણને અટકાવવા ચોક્કસ સફળતા મળી છે. દેશને સંક્રમણના ત્રીજા તબક્કામાં પહોચવાથી બચાવી શક્યા છીએ તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
તેમણે કહ્યું કે જે વિસ્તારોમાં વધુ તકલીફ છે, ત્યાં કેન્દ્રની ટીમો મોકલીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. તેનો પણ મહત્તમ સહયોગ લઈને સહિયારા પ્રયાસો કરીએ. દેશમાં ખાનગી અને સરકારી મળી કુલ 350 કોવિડ ટેસ્ટીગ લેબ ઉપલબ્ધ છે. જેના દ્વારા 5.50 લાખથી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે.
લૉકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા ભારપૂર્વક અનુરોધ કરતા તેમણે ઉમેર્યુ કે, કોરોના વોરિયર્સ પરના હુમલા સંદર્ભે પણ જાગૃતિ કેળવીએ તથા આરોગ્યકર્મીઓ માટે રૂ.50 લાખનુ વીમા કવચ પણ પુરૂં પાડવામાં આવ્યુ છે. તેમણે કોવિડની સાથે સાથે અન્ય રોગો પણ દેશમાં પ્રસરે નહિ એ માટે પૂરતી તકેદારી રાખવા પણ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને આરોગ્યપ્રધાન નીતિન પટેલે રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે લીધેલાં પગલાંઓ અને કરેલી કામગીરીની વિગતો આપતાં કહ્યું કે, કોરોનાના સંક્રમણમાં ગુજરાત બીજા ક્રમે છે તે અંગે અમે સૌ ચિંતિત છીએ. એટલે જ અમે પ્રોએકટીવલી કામ કરી રહ્યા છીએ.
અમદાવાદ અને સુરત શહેરમાં સંક્રમણનું પ્રમાણ ડબલ રેટમાં જોવા મળી રહ્યું છે તેનું મુખ્યને મુખ્ય કારણ રાજ્ય સરકારે છેલ્લા અઠવાડિયામાં વધારે ટેસ્ટીંગની એગ્રેસીવ પોલીસી દ્વારા ક્લસ્ટર વિસ્તારમાં કરી છે તેના પરિણામે છે. રાજ્ય સરકારે રાજ્યભરમાં અત્યાર સુધીમાં 42,384 ટેસ્ટ કર્યા છે જેમાં 2624 કેસ પોઝિટિવ આવ્યા છે. તે તમામને સારવાર સહિતની આઈસોલેશનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. રાજયમાં કોવિડને લગતી ડેઝીગ્નેટેડ હોસ્પિટલો,વેન્ટીલેટર તથા અન્ય સાધન સામગ્રી પણ પર્યાપ્ત પ્રમાણમાં ઉપલબ્ધ છે.
રાજ્યના શહેરો અને નગરોમાં સેમ્પલ એકત્રિત કરવા માટે આરોગ્યકર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યાં છે. તેમને પણ સંક્રમણની અસર થઇ છે. તેજ રીતે લોકડાઉનના ચુસ્ત અમલ માટે પોલીસકર્મીઓ પણ ખડેપગે ફરજ અદા કરી રહ્યાં છે, તેમને પણ સંક્રમણ ની અસર થઇ છે. ત્યારે આરોગ્ય કર્મીઓ અને પોલીસકર્મીઓને પણ ફરજના સ્થળે પીપીઈ કીટ અને અન્ય સુવિધાઓ કઈ રીતે પૂરી પાડવી તે અંગે પણ માર્ગદર્શન માગ્યું હતું .
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા રેપીડ એન્ટી બોડી ટેસ્ટીગ કિટ પણ મળી છે. જેના દ્વારા ટેસ્ટીગની પ્રક્રિયા ગઈકાલથી શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ આ કીટનો કઈ જગ્યાએ ઉપયોગ કરવો તે અંગે પણ જરૂરી માર્ગદર્શન માગ્યું હતું.
તેમણે કહ્યું કે, કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતની મુલાકાતે હતી. તેમના સૂચનો અને માર્ગદર્શનની યોગ્ય ગાઇડ લાઇન મળશે તો તે મુજબ આગળની કાર્યવાહી કરાશે. એ જ રીતે રાજ્યમાં પ્લાઝમા થેરાપીનું પણ પ્રાયોગિક ધોરણે શરૂઆત કરી દેવાઈ છે.