ગાંધીનગર : સ્વચ્છ ભારત દિવસની ઉજવણી નિમિત્તે કેન્દ્ર સરકારના જળશક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા 'સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય અભિયાન' અને 'સામુદાયિક શૌચાલય અભિયાન-2020' હેઠળ રાજ્ય શ્રેણીમાં ગુજરાતને પ્રથમ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. જેના પરિણામે ગુજરાત સ્વચ્છતા ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થયું છે. જિલ્લા કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતીય અને બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
તારીખ 2 ઓક્ટોબર 2020 ગાંધી જયંતીના રોજ સ્વચ્છ ભારત દિવસ ઉજવણી નિમિત્તે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) યોજના અંતર્ગત રાજ્યને બે શ્રેણીમાં પુરસ્કાર પ્રાપ્ત થયા છે. સ્વચ્છ સુંદર સામુદાયિક શૌચાલય ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા 1 નવેમ્બર 2019થી 30 એપ્રિલ સુધી સામુદાયિક શૌચાલયનું નિર્માણ જાળવણી અને બ્યૂટિફીકેશનની કામગીરી રાજ્યના તમામ જિલ્લાઓમાં તબક્કાવાર હાથ ધરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની ટીમ દ્વારા વિવિધ જિલ્લાઓની સામુદાયિક શૌચાલયોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં જિલ્લાની કેટેગરીમાં વલસાડ જિલ્લાને તૃતીય પુરસ્કાર તેમજ બ્લોક કેટેગરીમાં કપરાડા તાલુકાને દ્વીતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
એ જ રીતે સામુદાયિક શૌચાલય અભિયાન (SSA) ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના પેયજળ સ્વચ્છતા વિભાગ દ્વારા તારીખ 15 જૂન 2020થી 15 સપ્ટેમ્બર 2020 દરમિયાન સમગ્ર રાજ્યમાં કુલ 706 સામુદાયિક શૌચાલયનું નિર્માણ થયુ છે. આ સામુદાયિક શૌચાલયોના બાંધકામ કરવા પાછળ ગામોમાં જુદા-જુદા રાજ્યોમાંથી આવતા મજૂરો/અવર જવર કરતાં પ્રવાસીઓને સેનીટેશની સુવિધા પૂરી પાડવા ઉપરાંત તેનો સતત ઉપયોગ અને સ્વચ્છતા અંગેના વિવિધ પાસાંઓને ધ્યાને રાખી સામૂહિક શૌચાલયોના બાંધકામ અને તેની જાળવણી કરી સામુદાયિક સ્વાસ્થ્યમાં વધારો કરવાનો છે. આ કેટેગરીમાં ભારત સરકાર દ્વારા સામુદાયિક શૌચાલય અભિયાન (SSA-2020) “સ્વચ્છ ભારત દિવસ પુરસ્કાર-2020” હેઠળ રાજ્ય શ્રેણીમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ગુજરાત રાજ્યને પ્રથમ પુરસ્કાર એનાયત કરાયો છે.