ભરતસિંહ બિહોલા આમ આદમી પાર્ટીમાં જોડાયા
ચૂંટણી પહેલા આપ પાર્ટીમાં જોડવાનો ક્રમ યથાવત
અત્યારે ચાલતી નફરતની રાજનીતિ આપણને પરવડે નહીં: બિહોલા
ગાંધીનગર: ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી (Gandhinagar Municipal corporation Election) 3 ઓક્ટોબરના રોજ યોજાવા જઈ રહી છે, ત્યારે બીજેપી (BJP) અને કોંગ્રેસ (Congress)માંથી સ્થાનિક કક્ષાએથી નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ભરતસિંહ બિહોલા (Bharat Singh Bihola) ઇસુદાન ગઢવી (Isudan Gadhvi), મહેશ સવાણી (Mahesh Savani) અને આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી હસમુખ પટેલ (Hasmukh Patel)ની હાજરીમાં આપમાં જોડાયા હતા.
કોંગ્રેસમાં આગળ ન વધવા દેવામાં આવતા હોવાનો લગાવ્યો આરોપ
ભરતસિંહ બિહોલાએ કહ્યું કે, "કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે. પોતાના જ માણસો પોતાનાને હરાવે છે. આ કારણે કોંગ્રેસ છોડી રહ્યા છે. અત્યારે ચાલતી નફરતની રાજનીતિ આપણને પરવડે નહીં. મને લાગ્યું કે સાચા હ્રદયથી લોકોના કામ કરવા હોય તો આપમાં જોડાવું પડે. જ્યારે પૈસાદારોની પાર્ટી ભાજપ છે. ભાજપમાં મધ્યમ વર્ગ અને ગરીબો માટે જગ્યા નથી. કોંગ્રેસમાં હું સમાજ સેવાના કામથી જોડાયો હતો પણ ત્યાં આપણને આગળ નથી જવા દેતા."
આમ આદમી પાર્ટી સાથે શિક્ષિત લોકો જોડાઈ રહ્યા છે
ઝોન સંગઠન મંત્રી હસમુખ પટેલે કહ્યું કે, "આજે આમ આદમી પાર્ટી માટે ખુશીની વાત છે. ગાંધીનગર રાજપૂત સમાજના અગ્રણી એવા ભરતસિંહ બિહોલા આજે આપમાં સામેલ થયા છે. ભરતસિંહ બિહોલા કોંગ્રેસના મહામંત્રી રહી ચૂક્યા છે. તેમની સાથે બીજા લોકો આપમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલની રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. ગઈકાલે યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા જોડાયા હતા." આપ નેતા મહેશ સવાણીએ કહ્યું કે, "મને આમ આદમી માટે માન થાય છે, કારણ કે શિક્ષિત લોકો જોડાઈ રહ્યા છે. સમાજ સેવાના કર્યોમાં શિક્ષિત લોકો આવે તો મતદારોને તેમનું ઋણ ચૂકવી શકાય છે. આ ટીમને હું આવકારું છું."
સ્થાનિક લોકો ભાજપથી મુક્તિ ઇચ્છે છે: મનીષ સિસોદિયા
ઉલ્લેખનીય છે કે 3 ઓક્ટોબરના રોજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી પણ સક્રિય રીતે ગાંધીનગરમાં પ્રચાર કરી રહી છે. બુધવારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ઉપરાંત ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. આ દરમિયાન મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, "આ વખતે આમ આદમી પાર્ટી મજબૂત વિકલ્પ બનીને ઉભરશે. અહીંના સ્થાનિક લોકો BJPથી મુક્તિ ઈચ્છે છે, પરંતુ તેમની પાસે કોઈ મજબૂત વિકલ્પ નહોતો. જેમના માટે AAP એક મજબૂત વિકલ્પ બનીને ઉભરશે."
આ પણ વાંચો: ગાંધીનગરની જનતા BJPથી મુક્તિ ઈચ્છે છે, અત્યાર સુધી વિકલ્પ ન હતો, હવે AAP છે: મનીષ સિસોદિયા