નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં 29 ઓક્ટોબરથી 8 નવેમ્બર સુધી અનેક જિલ્લામાં 2 થી 5 ઇંચ સુધી કમોસમી વરસાદ થયો હતો. વરસાદના કારણે ખેડૂતોને ઉભા પાક સહિત અનેક જગ્યા ઉપર નુકસાન થયું હતું જે નુકસાનને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવાની પણ જાહેરાત કરી હતી, જેમાં રાજ્ય સરકારે સાત દિવસની અંદર સર્વે પૂર્ણ કરીને અત્યાર સુધીમાં પાંચ લાખ હેકટર જેટલી જમીનનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ખેડૂતોની જમીનનો સર્વે કરવામાં આવ્યો છે. તે એસ ડી આર એફના નિયમ પ્રમાણે તમામ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જ્યારે આ સર્વેમા લીધેલા હોય તેવા ખેડુતોનો સમાવેશ કરવામાં આવ્યો નથી. એસ ડી આર એફના નિયમ મુજબ પિયત જમીનમાં એક હેકટરે 13,500, બિન પિયત જમીનમાં 6800 રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવશે. કુલ 700 કરોડનું પેકેજ જાહેર થવાથી કુલ 2 લાખથી વધુ ખેડૂતોને સહાય ચુકવવામાં આવશે. જ્યારે પાક વીમા યોજનાથી અલગ સહાય આપવામાં આવશે. સંસ્થાઓ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ગત વર્ષે પણ રાજ્ય સરકારે ખેડૂતોને પૈસા આપ્યા નથી. તેના જવાબમાં નીતિન પટેલે જણાવ્યું હતું કે ગત વર્ષે 2600 કરોડના પાક વિમા ચૂકવ્યા છે.
જ્યારે કમોસમી વરસાદના કારણે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદવાની બંધ કરી હતી. જે હવે 18 નવેમ્બરના રોજથી ફરીથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવશે તેવી પણ જાહેરાત રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી હતી.