- શહેર કોંગ્રેસ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
- કચરાના ઢગલા પાસે બેસીને કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ કર્યો
- કોંગ્રેસ નેતા જયદીપસિંહ ગોહિલ સહિતના કાર્યકરોએ વ્યક્ત કર્યો વિરોધ
ભાવનગર: શહેરના સરદારબાગ પિલગાર્ડનમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે તેમની જન્મજયંતિ નિમિત્તે શહેર કોંગ્રેસના કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમણે સરદાર પટેલ અને ઈન્દિરા ગાંધીને પુષ્પહાર અર્પણ કર્યા હતા. જોકે, બાદમાં કોંગ્રેસે અચાનક જ વિરોધ કાર્યક્રમ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા, નગરસેવકો અને કોંગ્રેસ પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પિલગાર્ડનમાં સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ કોંગ્રેસ નેતાઓ બહાર નીકળ્યા ત્યારે પાસે આવેલા જશોનાથ મંદિર પાસે કચરાનો ઢગલો જોઈને કોંગ્રેસના કાર્યકરોમાં રોષ ફેલાયો હતો.
વિરોધ પક્ષના નેતા જયદીપસિંહ ગોહિલે કચરાના ઢગ પાસે નીચે બેસીને મૌન વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિતની ટીમના સદસ્યોએ કચરાના ઢગ પાસે બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો.