- સોનગઢ ગુરુકુળની મુલાકાત બાદ યુનિવર્સિટીમાં પદવી કરશે એનાયત
- પાર્કમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા
- પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા
- પગપાળા ચાલી રાજ્યપાલ ભાવનગરવાસીઓને મળ્યાં
ભાવનગર: જિલ્લામાં મુલાકાતના પ્રથમ દિવસે રાજ્યપાલે અલંગની મુલાકાત લીધા બાદ વાઘાવાડી રોડ પર આવેલ જોગર્સ પાર્કમાં સાફ-સફાઈ કરી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા હતા. રાજ્યપાલશ્રી સાથે સાફ-સફાઈ દરમિયાન તેમના ધર્મપત્નિ પણ જોડાયા હતા. રાજ્યપાલે આ તકે સૌને સ્વચ્છતાનો આગ્રહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્વચ્છતાથી સમગ્ર દેશ સ્વસ્થ અને પવિત્ર બનશે. રાજ્યપાલશ્રીએ દરેક નાગરિકોને સ્વચ્છતાની સાથે-સાથે વ્યસનમુક્ત થવા, પાણીનો બચાવ કરવા, પર્યાવરણની જાળવણી કરવા તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પણ અનુરોધ કર્યો હતો.
આ પણ વાંચો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ડાંગ જિલ્લાની મુલાકાતે
ખેડૂતો સાથે કર્યો સંવાદ
રાજ્યપાલે ભાવનગર જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં 15થી વધુ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. તેમજ તેમના દ્વારા ઉત્પાદિત થતા પ્રાકૃતિક ફળો, શાકભાજી, ધાન્ય પાકો વગેરે રસપૂર્વક નિહાળ્યા હતા, અને તેમને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા.

રાજ્યપાલ સામાન્ય નાગરિકોને પગપાળા મળ્યા
રાજ્યપાલ ભાવનગરની વાઘાવાડી રોડ પર આવેલી એચ.ડી.એફ.સી.બેન્કથી સંત કંવરરામ ચોક થઈ માધવ દર્શન ચોક સુધીનું આશરે દોઢ કિલોમીટર જેટલું અંતર પગપાળા ચાલ્યા હતા તેમજ માર્ગમાં આવતા વેપારીઓ તથા નાગરિકોની સાથે મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
યુનિવર્સિટીમાં રાજ્યપાલ હસ્તે પદવીદાન સમારોહ
ભાવનગર યુનિવર્સિટીમાં 4 માર્ચના 11:00 કલાકે પદવીદાન સમારોહ યોજાશે. જેમાં રાજ્યપાલના હસ્તે પદવી એનાયત કરવામાં આવશે. આમ રાજ્યપાલ ભાવનગરમાં બે દિવસની મુલાકાત દરમિયાન જિલ્લામાં કેટલાક સ્થળોની મુલાકાત લીધી હતી.